‘શિક્ષા મંત્રીનું રાજીનામું, પોલીસકર્મીઓને સજા અને વડાપ્રધાનની માફી’: રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ વતી મૂકી 3 માંગણીઓ
દિલ્હીના જંતર-મંતર પર NEET પેપર લીક મામલે વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જંતર-મંતર પર સોનમ વાંગચુક સાથે ભૂખ હડતાળ કરનાર લેફ્ટ સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશનના વિદ્યાર્થીઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ વિદ્યાર્થીઓ વતી 3 માંગણીઓ મૂકી છે. જેમાં શિક્ષણ મંત્રીનું રાજીનામું, પોલીસકર્મીઓને સજા અને વડા પ્રધાનની માફીનો સમાવેશ થાય છે. જાણો રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું.
ધર્મેન્દ્ર પ્રધાનને બીજું મંત્રાલય આપવાથી વિદ્યાર્થીઓ નહીં માને
રાહુલ ગાંધીએ જણાવ્યું કે મેં તે વિદ્યાર્થીઓ સાથે વાત કરી જેમણે ભૂખ હડતાળ કરી હતી. અમે ભૂખ હડતાળ, RSS અને દરેક બાબત પર કેવી રીતે કબજો કરવામાં આવી રહ્યો છે તે અંગે ચર્ચા કરી. વિદ્યાર્થીઓની ત્રણ એવી માંગણીઓ છે જેના પર કોઈ સમજૂતી થઈ શકે નહીં.
પહેલી માંગ: શિક્ષણ મંત્રી, જે ભ્રષ્ટ, અયોગ્ય અને ખોટી વિચારસરણી ધરાવતા છે, તેમને હટાવવા જોઈએ. મેં સાંભળ્યું છે કે મોદી કેબિનેટમાં ચર્ચા ચાલી રહી છે કે પ્રધાનને અન્ય મંત્રાલયમાં મોકલી દેવામાં આવે. પરંતુ વિદ્યાર્થીઓ આનાથી માનવાના નથી.
વિદ્યાર્થીઓ પર હિંસા કરનાર જવાબદાર લોકોને મળવી જોઈએ સજા
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની સાથે ઊભેલી યુવતી તરફ ઈશારો કરતા કહ્યું કે જુઓ આ ઘાયલ છે. મેં ગઈકાલે તમને બતાવ્યું હતું કે એક યુવકની આંખમાં છર્રો વાગ્યો હતો.
હજારો વિદ્યાર્થીઓ એવા છે જેના પગ, માથું અને હાથ તૂટ્યા છે અને તેમને પેલેટ ગનથી ઈજાઓ થઈ છે.
જે લોકોએ આવું કર્યું છે, પછી ભલે તેઓ આયોજક હોય કે તેને અંજામ આપનાર હોય, તેમને સજા મળવી જોઈએ અને જવાબદાર ઠેરવવા જોઈએ.
વડા પ્રધાન મોદીએ માંગવી જોઈએ માફી
રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ સમગ્ર સિસ્ટમના વડા, એટલે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, વિદ્યાર્થીઓ અને દેશના ભવિષ્ય સાથે જે કંઈ પણ થયું છે, તેના માટે માફી માંગવી જોઈએ. આ ત્રણેય માંગણીઓ ‘નોન-નેગોશીએબલ’ (કોઈ સમજૂતી વગરની) છે.
બીજી તરફ, ગત શુક્રવારે કેન્દ્ર સરકાર અને CJP ના નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. દાવો કરવામાં આવ્યો છે કે CJP ની 3માંથી 2 શરતો પર સરકાર સકારાત્મક વલણ દાખવી રહી છે.
પેપર લીક અંગેના નવા કાયદા પર સરકારની મહોર
ઉલ્લેખનીય છે કે પેપર લીકમાં સુધારા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માટે મોદી સરકારે તૈયારી કરી લીધી છે. મોદી કેબિનેટે પેપર લીક અટકાવવા માટેના નવા કાયદા પર મહોર લગાવી દીધી છે.
નવા કાયદામાં પેપર લીકના દોષિતોને ફાસ્ટ ટ્રૅક કોર્ટ 3 મહિનામાં સજા સંભળાવશે.
દોષિતને 10 વર્ષ સુધીની સજા અને 10 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારના આ કાયદાને પેપર લીક વિરુદ્ધ મોદી સરકારનું મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. હવે સરકાર સોમવારે પેપર લીક સાથે જોડાયેલું નવું બિલ રજૂ કરી શકે છે.
- Advertisement -
- Advertisement -