આણંદમાં ભારે વરસાદનો કહેર: એસપી કચેરી પાસે પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી 9 વર્ષની માસૂમ દીકરીનું કરુણ મોત
આણંદ: શહેરની એસપી કચેરી નજીક ભારે વરસાદ વચ્ચે એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીના અચાનક વધી ગયેલા પ્રવાહમાં તણાઈ જવાથી ચાર બાળકો પાણીની ઝપેટમાં આવી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે વિસ્તારમાં પાણી ભરાયા હતા અને અચાનક પ્રવાહ તેજ થવાથી આ ચારેય બાળકો તણાયા હતા. આ દુર્ઘટના જોઈને તાત્કાલિક સ્થાનિક લોકોએ સતર્કતા દાખવી પોલીસને જાણ કરી હતી અને ભારે જહેમત બાદ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જોકે, સારવાર દરમિયાન 9 વર્ષીય પ્રીતીબેન રમેશભાઈ સોલંકીનું કરુણ મોત નીપજ્યું હતું. આ અણધારી આફતના કારણે મૃતક બાળકીના પરિવારમાં અને સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે.
નાગરિકો માટે ખાસ અપીલ: વહીવટી તંત્ર અને હવામાન વિભાગ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા નીચાણવાળા વિસ્તારો, કાંસ, નદી, નાળા કે તળાવો જેવા જોખમી સ્થળોની આસપાસ જવાનું ટાળવું અને પોતાની તથા પોતાના પરિવારની સુરક્ષાનું ધ્યાન રાખવું.
- Advertisement -
- Advertisement -