હાલની નીતિથી ભારતની રાજદ્વારી શાખ પર વિપરિત અસર પડી રહી છે – સોનિયા ગાંધી
વરિષ્ઠ કોંગ્રેસ નેત્રી સોનિયા ગાંધીએ (Senior Congress leader Sonia Gandhi) જણાવ્યું હતું કે, હાલની નીતિથી (Current Policy) ભારતની રાજદ્વારી શાખ પર (On India’s Diplomatic Credibility) વિપરિત અસર પડી રહી છે.
કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું કે, ગાઝા મુદ્દે કેન્દ્ર સરકારનું ‘મૌન’ અને ‘નિષ્ક્રિયતા’ માત્ર નૈતિક રીતે જ ખોટું નથી. પરંતુ ભારતના રાષ્ટ્રીય હિતોની પણ વિરુદ્ધ છે. સોન્યા ગાંધીએ કહ્યું કે, ભારતની વર્તમાન નીતિએ દેશને તેની લાંબા સમયથી ચાલી આવતી વિદેશ નીતિની પરંપરાઓ અને ઐતિહાસિક સહયોગીઓથી દૂર કરી દીધો છે. ભારત પેલેસ્ટાઈન, ઈરાન અને સમગ્ર પશ્ચિમ એશિયાથી અંતર બનાવી ચૂક્યું છે. જ્યારે પાકિસ્તાન આ ક્ષેત્રમાં મધ્યસ્થ તરીકે પોતાને રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
તેમણે લખ્યું કે ભારતીય રાષ્ટ્રની ભાવના એવી માંગ કરે છે કે, ભારત પેલેસ્ટાઈનના લોકોની તરફેણમાં અવાજ ઉઠાવે, જેમના બાળકોને નિર્દયતાથી નિશાન બનાવવામાં આવ્યા છે. આ સાથે જ રાષ્ટ્રીય હિત પણ એવું જ કહે છે કે, ભારત ગાઝામાં ઈઝરાયેલની ‘નરસંહાર જેવી કાર્યવાહી’ અને વેસ્ટ બેંકમાં લાખો પેલેસ્ટાઈની પરિવારોના વિસ્થાપન વિરુદ્ધ વૈશ્વિક જનમતનું સમર્થન કરે. કેન્દ્ર સરકારના સતત મૌનને ન તો નૈતિક રીતે અને ન તો તાર્કિક રીતે યોગ્ય ઠેરવી શકાય.
આંતરરાષ્ટ્રીય તપાસ પંચના અહેવાલનો હવાલો
સોનિયા ગાંધીએ સંયુક્ત રાષ્ટ્રના સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ પંચના અહેવાલનો હવાલો આપતા જણાવ્યું કે, સપ્ટેમ્બર 2025માં પંચે તારણ કાઢ્યું હતું કે, ગાઝામાં ઈઝરાયેલી વહીવટીતંત્ર પેલેસ્ટાઈનીઓ વિરુદ્ધ નરસંહાર કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, જૂન 2026માં ન્યાયમૂર્તિ (સેવાનિવૃત્ત) એસ. મુરલીધરની અધ્યક્ષતાવાળા પંચે પણ દોહરાવ્યું હતું કે, ઈઝરાયેલની કાર્યવાહીનો હેતુ ગાઝામાં પેલેસ્ટાઈનીઓનું અસ્તિત્વ ખતમ કરવાનો છે. અને તેમાં બાળકોને ખાસ કરીને નિશાન બનાવવામાં આવ્યા છે.
તેમણે પંચના 94 પાનાના અહેવાલને અત્યંત દર્દનાક ગણાવતા કહ્યું કે, તેમાં ગાઝામાં થયેલી તબાહીનો વિગતવાર ઉલ્લેખ છે. તેમના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 હજાર બાળકોના મોત થયા છે અને 44 હજારથી વધુ બાળકો ઘાયલ થયા છે. જેમાંથી ઘણા આખી જિંદગી માટે વિકલાંગ થઈ ગયા છે. તેમણે દાવો કર્યો કે, હોસ્પિટલો, ખાસ કરીને બાળકોની હોસ્પિટલોને નુકસાન પહોંચાડવાને કારણે ગર્ભપાત અને પ્રસૂતિ સંબંધિત ગૂંચવણોમાં 300 ટકા સુધીનો વધારો થયો છે.
ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી અને વૈશ્વિક વલણ
કોંગ્રેસ નેત્રીએ 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાને ‘ભયાવહ અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય’ ગણાવ્યો હતો. પરંતુ કહ્યું હતું કે, તે પછીના છેલ્લા અઢી વર્ષમાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી અત્યંત ક્રૂર અને અમાનવીય રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ઇઝરાયેલના ટોચના નેતાઓએ ગાઝાની ‘સંપૂર્ણ ઘેરાબંધી’ અને ‘સંપૂર્ણપણે ખતમ કરવા’ જેવી વાતો કહી છે. તથા પેલેસ્ટાઈનીઓના અસ્તિત્વના અધિકારનો પણ ઇનકાર કર્યો છે.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના સમર્થને ઇઝરાયેલને પોતાની સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવાની તક આપી. સાથે જ તેમણે કહ્યું કે, અમેરિકાના વલણને કારણે સંયુક્ત રાષ્ટ્ર પણ અસરકારક પગલાં લઈ શક્યું નથી. જ્યારે તેની એજન્સીઓ કથિત યુદ્ધ અપરાધોનું દસ્તાવેજીકરણ કરતી રહી છે.
તેમણે ઉમેર્યું કે, ફ્રાન્સ, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા ઘણા પશ્ચિમી દેશોએ પેલેસ્ટાઈનને માન્યતા આપી છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ ઈઝરાયેલ વિરુદ્ધ 1948ના નરસંહાર કન્વેન્શનના ઉલ્લંઘનનો કેસ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં દાખલ કર્યો છે. ઘણા યુરોપીય દેશોએ ઈઝરાયેલને હથિયારોની નિકાસ પર રોક લગાવી છે. અને ઘણા લેટિન અમેરિકન દેશોએ તેની સાથેના પોતાના રાજદ્વારી સંબંધો મર્યાદિત કે સમાપ્ત કરી દીધા છે. આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC) એ ઇઝરાયેલી નેતૃત્વ સામે ધરપકડ વોરંટ પણ જારી કર્યા છે.
ભારતની પરંપરાગત વિદેશ નીતિમાં પરિવર્તન
સોન્યા ગાંધીએ જણાવ્યું કે ભારત લાંબા સમય સુધી સંસ્થાનવાદ વિરોધ, રાષ્ટ્રીય સંપ્રભુતા અને વૈશ્વિક શાંતિનો સમર્થક રહ્યું છે. પરંતુ આજે એ જ ભારત ગાઝા અને વેસ્ટ બેંકમાં માનવાધિકારોના ઉલ્લંઘન પર ચૂપ છે. તેમણે આક્ષેપ કર્યો કે ભારત એવા સમયે ઈઝરાયેલની વધુ નજીક જઈ રહ્યું છે જ્યારે દુનિયાનો મોટો હિસ્સો તેનાથી અંતર જાળવી રહ્યો છે. તેમણે વડાપ્રધાનની ઈઝરાયેલ મુલાકાતને પણ ‘આશ્ચર્યજનક વ્યૂહાત્મક નિર્ણય’ ગણાવ્યો હતો.
તેમના મતે, ભારતે પેલેસ્ટાઈન, ઈરાન અને પોતાના જૂના સહયોગીઓથી અંતર બનાવી લીધું છે અને તેનાથી પાકિસ્તાનને મધ્યસ્થની ભૂમિકા ભજવવાની તક મળી ગઈ છે. પોતાના લેખના અંતમાં સોન્યા ગાંધીએ જણાવ્યું હતું કે, ભારતની પરંપરાગત વિદેશ નીતિમાં આ ફેરફારનો સૌથી મોટો ફાયદો માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની વ્યક્તિગત મિત્રતા પૂરતો જ મર્યાદિત દેખાય છે. જ્યારે તેનાથી ભારતની વૈશ્વિક નૈતિક અને રાજદ્વારી શાખને નુકસાન પહોંચ્યું છે.
- Advertisement -
- Advertisement -