ઇસ્લામિક હિજરી કેલેન્ડરનો પ્રથમ મહિનો મુહર્રમ ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે આ મહિનાથી નવા વર્ષની શરૂઆત થાય છે. પરંતુ તેની ઓળખ કોઈ ઉત્સવ કે ઉલ્લાસથી નહીં, પણ શહાદત (બલિદાન), ત્યાગ અને આત્મચિંતન સાથે જોડાયેલી છે. દર વર્ષે મુહર્રમ આવતા જ વિશ્વભરના કરોડો મુસ્લિમો કરબલાની એ ઐતિહાસિક ઘટનાને યાદ કરે છે.જેણે ઇસ્લામિક ઇતિહાસની દિશા બદલી નાખી અને સત્ય તથા ન્યાય માટે સર્વોચ્ચ બલિદાનનું અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું.
મુહર્રમની 10મી તારીખ, જેને ‘આશુરા’ કહેવામાં આવે છે. તે સૌથી વધુ મહત્વની માનવામાં આવે છે. આ જ દિવસે હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓએ અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ સંઘર્ષ કરતા કરબલાની ધરતી પર શહાદત વહોરી હતી. આ ઘટનાને માત્ર ધાર્મિક ઇતિહાસ જ નહીં, પરંતુ નૈતિક મૂલ્યો અને ઇન્સાફની રક્ષા માટે આપવામાં આવેલા મહાન બલિદાન તરીકે પણ જોવામાં આવે છે. આ જ કારણ છે કે, મુહર્રમનું મહત્વ સમય અને સરહદોથી પર થઈને માનવતાના સાર્વત્રિક સંદેશ સાથે જોડાઈ જાય છે.
કરબલાની પૃષ્ઠભૂમિ અને શહાદત
ઇસ્લામિક ઇતિહાસ અનુસાર, પયગંબર હઝરત મોહમ્મદના અવસાન બાદ મુસ્લિમ સમુદાયના નેતૃત્વને લઈને મતભેદો ઉભા થયા હતા. સમય જતાં રાજકીય પરિસ્થિતિઓ બદલાતી ગઈ અને જ્યારે યઝીદ સત્તા પર આવ્યો, ત્યારે તેણે પોતાની વફાદારી સ્વીકારવા માંગ કરી. હઝરત ઇમામ હુસૈને આ માંગનો અસ્વીકાર કર્યો. તેમનું માનવું હતું કે, શાસન હંમેશા ન્યાય, સત્ય અને નૈતિક સિદ્ધાંતોને અનુરૂપ હોવું જોઈએ અને અન્યાયી સત્તાનું સમર્થન ક્યારેય ન થઈ શકે.
વર્ષ 680 ઇસવીમાં વર્તમાન ઇરાકના કરબલા વિસ્તારમાં ઇમામ હુસૈન, તેમના પરિવાર અને સાથીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. ઐતિહાસિક વિગતો મુજબ, તેમને કેટલાય દિવસો સુધી પાણી અને જરૂરી સંસાધનોથી વંચિત રાખવામાં આવ્યા. ત્યારબાદ થયેલા સંઘર્ષમાં ઇમામ હુસૈન સહિત તેમના અનેક પરિવારજનો અને સમર્થકો શહીદ થયા. આ ઘટના ઇસ્લામિક ઇતિહાસની સૌથી હૃદયદ્રાવક ઘટનાઓમાં ગણાય છે અને આ જ સ્મૃતિમાં મુહર્રમ દરમિયાન માતમ મનાવવામાં આવે છે.
માતમ અને તાજિયાની પરંપરા
મુહર્રમનો માતમ એ માત્ર શોક પ્રગટ કરવાની પરંપરા નથી. પરંતુ તે અન્યાય સામે અવાજ ઉઠાવવા, સત્યના પક્ષમાં અડગ રહેવા અને માનવતાની રક્ષા માટે આપેલા બલિદાનને યાદ કરવાનું પ્રતીક છે.
-
શિયા સમુદાયની પરંપરા: વિશેષ રૂપે શિયા સમુદાય આ અવસરે મજલિસોનું આયોજન કરે છે. કાળા વસ્ત્રો ધારણ કરે છે અને કરબલાની ઘટનાનું સ્મરણ કરે છે.
-
તાજિયા સરઘસ: અનેક સ્થળોએ તાજિયાના જુલૂસ (સરઘસ) કાઢવામાં આવે છે. જે ઇમામ હુસૈનની શહાદત પ્રત્યે શ્રદ્ધાંજલિનું પ્રતીક છે. તાજિયા એ વાંસ, કાગળ અને અન્ય સુશોભન સામગ્રીથી તૈયાર કરવામાં આવતું એક પ્રતીકાત્મક માળખું છે. જે કરબલામાં આવેલી ઇમામ હુસૈનની મઝાર (રોઝા)ની યાદ અપાવે છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં શ્રદ્ધાળુઓ તાજિયા જુલૂસમાં ભાગ લઈને શહાદતને શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે.

