કોલકાતામાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન ગોદામની છત ધરાશાયી, 40થી વધુ શ્રમિકો કાટમાળ નીચે દબાયાની આશંકા,10 મૃતદેહ બહાર કાઢ્યા
પશ્ચિમ બંગાળના કોલકાતાના તારાતલા વિસ્તારમાં આજે બુધવારે એક મોટી અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક નિર્માણાધીન ગોદામની છત તૂટી પડતાં 40થી વધુ મજૂરો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની ગંભીરતાને જોતાં સેના અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક ધોરણે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ગોદામના પ્રથમ માળે છત બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક લોખંડનું આખું સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું હતું. અત્યાર સુધીમાં13 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે. પરંતુ કાટમાળ નીચે ચોક્કસ કેટલા લોકો દબાયેલા છે તેનો આંકડો હજુ સ્પષ્ટ થયો નથી. કાટમાળ હટાવવા માટે ઘટનાસ્થળે ક્રેન તૈનાત કરવામાં આવી છે અને ગેસ કટર વડે લોખંડના ભારે બીમ કાપીને લોકોને બહાર કાઢવાના ભગીરથ પ્રયાસો ચાલી રહ્યા છે.
લોખંડના ભારે બીમ અને કોંક્રીટ નીચે દબાયા શ્રમિકો
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે આ છત તૂટી પડી ત્યારે અસંખ્ય મજૂરો બિલ્ડિંગની અંદર કામ કરી રહ્યા હતા. લોખંડના મોટા બીમ અને કોંક્રીટનો ભારે મિશ્રિત કાટમાળ સીધો મજૂરો પર પડ્યો હતો. જેના કારણે તેઓ નીચે દબાઈ ગયા હતા. દુર્ઘટના બાદનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક વ્યક્તિ ફોન પર અત્યંત ગભરાયેલા અવાજે કહી રહ્યો છે, “સર, જલ્દી માણસો મોકલો, અહીં ઘણા લોકો કાટમાળ નીચે દબાયા છે અને કેટલાક લોકોના મોત પણ થયા છે.”
રાજકીય ગરમાવો: બાંધકામને ગેરકાયદે ગણાવ્યું
દુર્ઘટનાની જાણ થતાં જ પશ્ચિમ બંગાળના મંત્રી ડૉ. ઇન્દ્રનીલ ખાન તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “અત્યારે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા અંદર ફસાયેલા લોકોના જીવ બચાવવાની છે. તમામ બચાવ ટુકડીઓ સ્થળ પર હાજર છે.” આ સાથે જ તેમણે આકરા પ્રહારો કરતા ઉમેર્યું કે, “આ આખું બાંધકામ ગેરકાયદેસર છે. જેનું નિર્માણ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સત્તામાં હતી ત્યારે કરવામાં આવ્યું હતું.”
- Advertisement -
- Advertisement -