પંજાબના ફિરોઝપુરમાં કાળમુખો અકસ્માત, અસ્થિ વિસર્જન કરવા જતા એક જ પરિવારના 8 સભ્યોના કરૂણ મોત, 15 ઘાયલ

પંજાબના ફિરોઝપુર-ફાઝિલ્કા હાઈવે પર શનિવારે વહેલી સવારે એક કાળજું કંપાવી દેનારી ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. હાઈવે પર આવેલા જંગા વાલા ગામ નજીક એક બેકાબૂ ટ્રક અને મહિન્દ્રા પીકઅપ જીપ વચ્ચે સર્જાયેલી ભીષણ સામસામે ટક્કરમાં 8 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય 15થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે.
મૃતકના અસ્થિ વિસર્જન કરવા જતા જ કાળનો પંજો ફરી વળ્યો
મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા તમામ મુસાફરો આપસમાં સગા-સંબંધીઓ હતા. પરિવારના એક મૃતક સભ્યના અસ્થિ વિસર્જન (ફૂલ જલ પ્રવાહ) કરવા માટે તેઓ જલાલાબાદથી અમૃતસરના બિયાસ સ્થિત ડેરા રાધા સ્વામી જઈ રહ્યા હતા. ધાર્મિક સ્થળે પહોંચે તે પહેલા જ માર્ગમાં કાળમુખા ટ્રકે જીપને અડફેટે લેતા ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો.
જીપમાં ક્ષમતા કરતા ડબલ મુસાફરો સવાર હતા
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી પીકઅપ જીપમાં ક્ષમતા કરતાં વધુ એટલે કે આશરે 25 જેટલા મુસાફરોને ઘેટાં-બકરાંની જેમ ભરવામાં આવ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે જીપના કુરચેકુરચા ઊડી ગયા હતા.
-
4 લોકોના ઘટનાસ્થળે જ મોત: અકસ્માત એટલો ભયાનક હતો કે 4 લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
-
4 લોકોના સારવાર દરમિયાન મોત: અન્ય 4 ગંભીર ઈજાગ્રસ્તોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું.
મેડિકલ કોલેજમાં ઈમરજન્સી એલર્ટ: હાલમાં તમામ ઘાયલોને તાત્કાલિક ફિરોઝપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી વધુ ગંભીર નવ લોકોને ફરીદકોટની ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
- Advertisement -