પીએમ મોદીની દેશવાસીઓને ભાવુક અપીલ: ‘એક વર્ષ સુધી સોનું ખરીદવાનું ટાળો અને વિદેશ પ્રવાસ મુલતવી રાખો’

વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ માટે સોનાની ખરીદી પર નિયંત્રણ રાખવા અને વિદેશ યાત્રાઓ હાલ પૂરતી ટાળવા ખાસ આગ્રહ કર્યો છે. રવિવારે રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ મોદીએ આ આહવાન કર્યું હતું, જેનો મુખ્ય હેતુ દેશના વિદેશી હૂંડિયામણ (Foreign Exchange) ને સુરક્ષિત રાખવાનો છે.
વૈશ્વિક કટોકટી અને ભારત સામેના પડકારો
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પડઘા સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આસમાને પહોંચ્યા છે અને ગ્લોબલ સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે. ભારત પોતાની જરૂરિયાતનું 85% તેલ આયાત કરે છે.જેનું ચૂકવણું ડોલરમાં થાય છે. આવા સમયે વિદેશી નાણાંનો પ્રવાહ (Outflow) દેશની બહાર ન જાય અને અર્થતંત્ર મજબૂત રહે તે માટે વડાપ્રધાને આ કડક પરંતુ જરૂરી પગલાં સૂચવ્યા છે.
સોનાની આયાત પર અંકુશ કેમ જરૂરી?
ભારત વિશ્વમાં સોનાના સૌથી મોટા આયાતકારોમાંનું એક છે. સોનાની માંગ સંતોષવા માટે ભારતે કરોડો ડોલર ખર્ચવા પડે છે, જેનાથી દેશના ઈમ્પોર્ટ બિલમાં મોટો વધારો થાય છે. જો દેશવાસીઓ એક વર્ષ સુધી સોનાની ખરીદી ઘટાડે, તો રૂપિયાની કિંમત સ્થિર કરવામાં અને ટ્રેડ ડેફિસિટ ઘટાડવામાં મોટી મદદ મળી શકે તેમ છે. આ માટે વડાપ્રધાને નાગરિકોને આ અપીલને એક ‘દેશભક્તિના કાર્ય’ તરીકે જોવાની વિનંતી કરી છે.
જીવનશૈલીમાં ફેરફાર અને સ્વદેશી પર ભાર
વડાપ્રધાને માત્ર સોના કે પ્રવાસ જ નહીં, પરંતુ ઈંધણની બચત કરવા માટે પણ ભાર મૂક્યો છે. તેમણે નાગરિકોને નીચે મુજબના સૂચનો આપ્યા છે:
-
વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરવો.
-
શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમ અપનાવવું.
-
પ્રાકૃતિક ખેતી અને સ્વદેશી ઉત્પાદનો ને પ્રોત્સાહન આપવું.
ભારતનું વિદેશી હૂંડિયામણ અત્યારે કેટલી સ્થિતિમાં છે?
જોકે, ભારતની આર્થિક સ્થિતિ હાલમાં મજબૂત છે. માર્ચ 2026 ના ડેટા મુજબ, ભારત પાસે 691.11 અબજ ડોલર નું વિદેશી હૂંડિયામણ છે.જે આગામી 11 મહિનાની આયાત માટે પૂરતું છે. ખાસ વાત એ છે કે, ભારતના કુલ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધીને 16.70% થયો છે. વડાપ્રધાનની આ અપીલ ભવિષ્યની કોઈ મોટી આર્થિક કટોકટી સામે પૂર્વ તૈયારી રૂપે જોવામાં આવી રહી છે.
- Advertisement -
- Advertisement -