સુપ્રીમની કડક ટિપ્પણી: માત્ર કાયદાથી નહીં, માનસિકતા બદલવાથી અટકશે મહિલાઓ વિરુદ્ધની હિંસા



દેશમાં મહિલા સુરક્ષા માટે કડક કાયદાઓનો અંબાર છે, પરંતુ શું જમીની હકીકત બદલાઈ છે? સુપ્રીમ કોર્ટે આ પ્રશ્ન પર અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ટિપ્પણી કરી છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી સમાજ પોતાની માનસિકતા નહીં બદલે, ત્યાં સુધી કાયદાઓ માત્ર કાગળ પર રહી જશે. મહિલાઓ વિરુદ્ધની હિંસા પાછળ કાયદાની ઉણપ નહીં, પણ વર્ષો જૂની સંકુચિત વિચારધારા જવાબદાર છે.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી દરમિયાન અવલોકન કર્યું કે, મહિલા અપરાધ રોકવા માટે ભારતમાં પૂરતી કાનૂની જોગવાઈઓ હોવા છતાં હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે.
પત્નીને જીવતી સળગાવનાર પતિની અપીલ ફગાવી
આ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે ત્યારે કરી જ્યારે તેણે પોતાની પત્નીને જીવતી સળગાવી દેનાર ‘શંકર’ નામના શખ્સની અરજી ફગાવી દીધી. નીચલી અદાલત અને હાઈકોર્ટે આરોપીને આપેલી આજીવન કેદની સજાને સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખી છે. કોર્ટે જણાવ્યું કે પીડિતાનું ‘મૃત્યુ પૂર્વેનું નિવેદન’ (Dying Declaration) આરોપીને સજા અપાવવા માટે પૂરતો અને નક્કર આધાર છે. કોર્ટે ઉમેર્યું કે અસલી સમસ્યા ‘સામાજિક માનસિકતા’માં રહેલી છે; જ્યાં સુધી સ્ત્રીને સમાન સન્માન નહીં મળે, ત્યાં સુધી કડક સજા પણ બેઅસર સાબિત થશે.
બંધારણીય અધિકાર વિરુદ્ધ કડવી વાસ્તવિકતા
સુપ્રીમ કોર્ટે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ભારતીય બંધારણ મહિલાઓને ગરિમા સાથે જીવવાનો અધિકાર આપે છે, પરંતુ હકીકત એ છે કે મહિલાઓ આજે પણ ઘરથી લઈને ઓફિસ સુધી અસુરક્ષિત અનુભવે છે. પિતૃસત્તાક વિચારધારા અને સ્ત્રીને એક ‘વસ્તુ’ સમજવાનો દ્રષ્ટિકોણ જ મોટાભાગના ગુનાઓનું મૂળ છે.
ઉકેલ શું? ‘સામાજિક ક્રાંતિ’ની અનિવાર્યતા
અદાલતના મતે, હવે માત્ર કાનૂની લડાઈ પૂરતી નથી, પરંતુ એક ‘સામાજિક ક્રાંતિ’ની જરૂર છે. નવી પેઢીને શિક્ષણ અને જાગૃતિ દ્વારા એ સમજાવવું પડશે કે મહિલાઓનું સન્માન કરવું એ કોઈ ઉપકાર નથી, પણ તેમનો જન્મસિદ્ધ મૌલિક અધિકાર છે.
ગાંધીનગર એક્સપ્રેસના આ વિશેષ ન્યૂઝના ગૌરવશાળી સ્પોન્સર ‘ક્રિશ્ના લેબોરેટરી’ છે.. જે સચોટ નિદાન અને અત્યાધુનિક પેથોલોજી સેવાઓ માટે જાણીતું નામ છે.
- Advertisement -
- Advertisement -