સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર આપઘાત મામલો: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો કડક કાર્યવાહીના આદેશ
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવેલા આપઘાતની દુઃખદ ઘટનાને પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ બનાવની ગંભીર નોંધ લઈ ત્વરિત તપાસના આદેશ આપ્યા છે. મંત્રીશ્રીના નિર્દેશ બાદ સમગ્ર મામલે પારદર્શક અને ઝડપી તપાસ હાથ ધરવા માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી દેવામાં આવી છે.
આપઘાત મામલે મંત્રીશ્રીના નિર્દેશથી સિવિલના ડીન અને સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસમાં સંપૂર્ણ પારદર્શિતા રહે તે માટે સમગ્ર કાર્યવાહીની સીધી દેખરેખ ગાંધીનગર મેડિકલ એજ્યુકેશનના અધિક નિયામક શ્રી સચદેને સુપ્રત કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અધિકારીઓને કડક આદેશ આપતાં કહ્યું છે કે, આ બનાવમાં કોઈ પણ સંજોગોમાં દોષિતોને છાવરવામાં આવશે નહીં. જો તપાસ દરમિયાન રેગિંગ, માનસિક પરેશાની કે બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવશે તો જવાબદારો સામે કાયદાકીય અને વહીવટી સ્તરે આકરામાં આકરી કાર્યવાહી કરાશે.
મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ સૂચના આપતાં જણાવ્યું હતું કે, આપઘાત કરનાર ડોક્ટર સાથે હોસ્ટેલ કે હોસ્પિટલ પરિસરમાં કોઈ પણ પ્રકારની રેગિંગની ઘટના બની છે કે કેમ, અથવા તેમને કોઈ વ્યક્તિ કે તંત્ર દ્વારા માનસિક કે શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો કે કેમ – તે તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, સત્ય બહાર લાવવા માટે આજે રાત્રિ દરમિયાન જ હોસ્ટેલમાં ઉપસ્થિત તમામ સાથી વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે.
તપાસમાં કોઈ ઢીલ ન રહે તે માટે મંત્રીશ્રીએ આજે રાત્રે જ સમગ્ર પરિસરની તપાસ આટોપ્યા બાદ કમિટીના સભ્યોને ઘરે જવાની કડક સૂચના આપી હતી. બીજી તરફ, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ મૃતક ડોક્ટરના પિતા સાથે ફોન પર વાતચીત કરી શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં સાંત્વના આપતા કડક કાર્યવાહીની ખાતરી આપી હતી.
- Advertisement -
- Advertisement -