દહેગામમાં ડૉ. બી.આર. આંબેડકર કોલેજ ઓફ નર્સિંગનો 17મો શપથવિધિ સમારોહ યોજાયો
દહેગામ: ડૉ. બી.આર. આંબેડકર કોલેજ ઓફ નર્સિંગ, દહેગામ ખાતે B.Sc. Nursing, GNM અને ANMના વિદ્યાર્થીઓ માટે 17મો શપથવિધિ સમારોહ ઉત્સાહ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.



સમારોહમાં મુખ્ય અતિથિ દીનાબેન સુતરીયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોક વ્યાસ, શ્રીમતી નીલમ વ્યાસ તથા પ્રિન્સિપાલ શ્રી નવીન સર ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે પરંપરાગત દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો.
દીપ પ્રાગટ્ય પ્રસંગે ‘લેડી વિથ ધ લેમ્પ’ ફ્લોરેન્સ નાઇટિંગેલના સેવાભાવ અને નર્સિંગ ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું. દીપકની જ્યોત નર્સિંગ વ્યવસાયમાં જ્ઞાન, કરુણા, સેવા અને માનવતાનું પ્રતિક બની રહી છે.




સમારોહનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવેલ નર્સિંગ શપથ રહ્યું હતું. ભાવિ નર્સોએ દર્દીની સેવા, ગોપનીયતા, માન-સન્માન, કરુણા, શિસ્ત અને વ્યાવસાયિક જવાબદારીને સર્વોચ્ચ સ્થાન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.


આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, નર્સિંગ માત્ર વ્યવસાય નથી, પરંતુ માનવસેવાનું પવિત્ર કાર્ય છે. દર્દીના દુઃખને સમજીને તેની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તવું અને દરેક પરિસ્થિતિમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવી એ સાચા નર્સિંગ વ્યવસાયની ઓળખ છે.

17મો શપથવિધિ સમારોહ વિદ્યાર્થીઓ માટે માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સેવા, સમર્પણ અને જવાબદારીથી ભરેલી તેમની વ્યાવસાયિક યાત્રાની શરૂઆતનો ઐતિહાસિક ક્ષણ બની રહ્યો હતો. કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર સાદીયા મહિડાએ કાર્યક્રમની સુંદર રૂપરેખા જણાવી હતી.
- Advertisement -
- Advertisement -