નવસારીના ઉનાઈ માતા મંદિરના ગરમ પાણીના કુંડમાં ડૂબી જવાથી 7 વર્ષના માસૂમ બાળકનું કરૂણ મોત
અમદાવાદથી રક્ષાબંધન પર્વ ઉજવવા માટે પરિવાર સાથે આવેલ માસૂમ બાળક ઉનાઈ માતા મંદિર પરિસરમાં રમતા-રમતા અચાનક ગરમ પાણીના કુંડમાં પડી ગયો હતો. તહેવારના દિવસોમાં જ ખુશીઓ માતમમાં ફેરવાઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
નવસારી જિલ્લાના પ્રખ્યાત તીર્થસ્થળ ઉનાઈ માતા મંદિર ખાતે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. અમદાવાદથી એક પરિવાર બહેનના ઘરે રક્ષાબંધન મનાવવા માટે આવ્યો હતો. આ દરમિયાન ભાઈ-બહેન પોતાના પરિવાર સાથે ઉનાઈ માતાજીના દર્શને પહોંચ્યા હતા. દર્શન પૂર્ણ થયા બાદ પરિવાર મંદિર પરિસરમાં હાજર હતો. તે વેળાએ 7 વર્ષનો બાળક સિદ્ધાર્થ જયસ્વાલ રમતા-રમતા અચાનક રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ ગયો હતો.
બાળક લાંબા સમય સુધી ન દેખાતા પરિવારજનોએ ચિંતાતુર બનીને આસપાસના વિસ્તારમાં ભારે શોધખોળ હાથ ધરી હતી. લગભગ એક કલાક સુધી બાળકનો કોઈ પત્તો ન લાગતા આખરે મંદિર પ્રશાસનની મદદથી સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વાંસદા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક લોકો અને પોલીસની સંયુક્ત જહેમત બાદ બાળકને ગરમ પાણીના કુંડમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ગરમ પાણીમાં દાઝી જવાના કારણે અને ઊંડા પાણીમાં ડૂબી જવાથી બાળકની હાલત અત્યંત ગંભીર બની ચૂકી હત.જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પર્વની ખુશીઓ વચ્ચે ઘટેલી આ આકસ્મિક અને દર્દનાક ઘટનાથી સમગ્ર પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે વાંસદા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની આગળની તપાસ હાથ ધરી..
- Advertisement -
- Advertisement -