દાહોદ જિલ્લાના વસ્તી ગામે દિલ્હી-મુંબઈ કોરિડોર હાઇવેના અસરગ્રસ્ત 14 ગામોના ખેડૂતોની જાહેર બેઠક યોજાઈ
ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોના વકીલ આનંદભાઈ યાજ્ઞિક ઉપસ્થિત રહ્યા હતા. વકીલના આગમનને લઈને મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
દિલ્હી-મુંબઈ કોરિડોર સહિત વિવિધ પરિયોજનાઓથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જમીનના બદલામાં જમીન, યોગ્ય વળતર અને આદિવાસી ખેડૂતોના હક-અધિકારો સહિતની માંગણીઓને લઈને હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. આ પિટિશન હવે અંતિમ તબક્કામાં હોવાને પગલે ખેડૂતોના વકીલ આનંદભાઈ યાજ્ઞિક ખેડૂતોને મળવા અને આગામી કાનૂની રણનીતિ અંગે ચર્ચા કરવા રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન વકીલ દ્વારા ખેડૂતોને પિટિશન અંગેની વર્તમાન સ્થિતિની માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોની માંગણીઓના આધારે દાખલ કરવામાં આવેલી પિટિશન અંગે દિવાળી સુધીમાં નિર્ણય આવવાની શક્યતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
સાથે જ ખેડૂતોને એકજૂથ રહીને પોતાના હક અને ન્યાય માટે લડત ચાલુ રાખવા અપીલ કરવામાં આવી હતી. ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં જમીનના બદલામાં જમીન અને યોગ્ય વળતરનો સમાવેશ થાય છે. આ મુદ્દે ખેડૂતોના હિતમાં કાયદાકીય લડત ચાલુ રાખવાની ખાતરી પણ વકીલ દ્વારા આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન દિલ્હી-મુંબઈ કોરિડોર ઉપરાંત અન્ય પરિયોજનાઓથી અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન આવતીકાલે 16 અધિકારીઓની સમિતિની હાજરીમાં ત્રણ ગામોમાં યોજાનારી ગ્રામસભામાં પણ વકીલ આનંદભાઈ યાજ્ઞિક ઉપસ્થિત રહી ખેડૂતોની રજૂઆતો સાંભળશે.
વકીલ આનંદભાઈ યાજ્ઞિકનું ખેડૂતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ લાંબા સમયથી ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત ચલાવી રહેલા ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીનું પણ ખેડૂતો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
દિલ્હી-મુંબઈ કોરિડોરથી અસરગ્રસ્ત 14 ગામોના ખેડૂતોની આ બેઠકમાં જમીનના બદલામાં જમીન, યોગ્ય વળતર અને હક-અધિકારોના મુદ્દે આગામી કાયદાકીય લડત અંગે ચર્ચા થઈ હતી.
અહેવાલ : યાસીર ગુડાલા,દાહોદ
- Advertisement -
- Advertisement -