ગાંધીનગર: રાજધાની ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત નવદિવસીય શ્રીરામકથાના પાંચમા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે રામાયણના હૃદયસ્પર્શી પ્રસંગોનું ગહન વિશ્લેષણ કર્યું હતું. આજના સત્રમાં કૈકેયી-મંથરા સંવાદ, મહારાજા દશરથની ધર્મસંકટની સ્થિતિ, શ્રીરામનો વનવાસ પ્રસ્થાન નિર્ણય અને સીતાજી સાથેનો સંવાદ જેવા પ્રસંગો સાંભળીને ઉપસ્થિત શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા.
મંથરાનો કુસંગ અને શ્રીરામની સ્થિતપ્રજ્ઞતા: કથાના પ્રારંભમાં આચાર્યશ્રીએ મંથરાના નકારાત્મક પ્રભાવ હેઠળ કૈકેયી દ્વારા મગાયેલા બે વરદાન અને તેના કારણે મહારાજા દશરથ પર આવી પડેલી માનસિક મનોવ્યથાનું માર્મિક વર્ણન કર્યું હતું. આચાર્યશ્રીએ રેખાંકિત કર્યું હતું કે, જ્યારે ભરત માટે રાજગાદી અને શ્રીરામ માટે ૧૪ વર્ષના વનવાસની જાહેરાત થઈ, ત્યારે પણ પ્રભુ શ્રીરામની માનસિક સ્થિતિ અને મુખમંડળ પરની પ્રસન્નતા એ જ રહી જે રાજ્યાભિષેકના પ્રસ્તાવ સમયે હતી. આ પ્રસંગ પરથી વર્તમાન સમાજને સંદેશ આપતાં તેમણે જણાવ્યું કે, સુખ અને દુઃખ બંને પરિસ્થિતિઓમાં સમાન રહેવું એ જ સાચો ધર્મ છે.


જીવન મૂલ્યો અને કૌટુંબિક વ્યવસ્થા પર માર્ગદર્શન: આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે સાંપ્રત સમયમાં પરિવારોમાં આવતા વિખવાદો પર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જ્યારે સંબંધોમાં પરસ્પર વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ થાય છે ત્યારે કૌટુંબિક શાંતિ હણાય છે. રામકથા આપણને સ્નેહ, ત્યાગ અને સંસ્કારોનું આદાન-પ્રદાન શીખવે છે. સીતાજીના વનગમનના દ્રઢ નિર્ણયનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, જે રીતે જળ વિના નદી અને પ્રાણ વિના શરીર શોભતું નથી, તે જ રીતે ભારતીય સંસ્કૃતિમાં પતિ વિના પત્નીનું અસ્તિત્વ અપૂર્ણ ગણાયું છે. સીતાજીએ વનવાસ જતાં પૂર્વે માતા કૌશલ્યાની આજ્ઞા મેળવવાનો આગ્રહ રાખ્યો, જે ભગવાન રામના પરિવારની ઉચ્ચ મર્યાદા અને મૂલ્યોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
સાસુ-વહુના સંબંધોમાં આદર્શ સમન્વય: માતા કૌશલ્યા અને સીતાજી વચ્ચેના સંવાદને આજના યુગ માટે શ્રેષ્ઠ જીવન પાઠ ગણાવતાં આચાર્યશ્રીએ એક સચોટ દ્રષ્ટાંત આપ્યું હતું કે, “માનવ શરીરમાં જે મહત્વ શ્વાસનું છે, સુખી પરિવારમાં તે જ ગૌરવપૂર્ણ સ્થાન સાસુનું છે.” કૌશલ્યા માતાએ સીતાજીને વનને પણ પોતાના સાસરા સમાન પવિત્ર સમજીને રહેવાના આશીર્વાદ આપ્યા હતા. આ કથાનકમાં સંયુક્ત પરિવારને સુદ્રઢ રાખવાના સુવર્ણ સિદ્ધાંતો છુપાયેલા છે. સમગ્ર કથા દરમિયાન સુમધુર ભજનો અને મંત્રોચ્ચારથી વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું.
મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ: કથાના પ્રારંભ પૂર્વે મુખ્ય અતિથિ વિશેષ તરીકે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂત, માનનીય ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોરા તથા લોકભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્માએ મંચ પર દીપ પ્રાગટય કરીને સત્ર ખુલ્લું મૂક્યું હતું. આ મહાનુભાવોએ વ્યાસપીઠ પર બિરાજમાન આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું પુષ્પમાળા અર્પણ કરી ભાવપૂર્વક બહુમાન કર્યું હતું. આ મંગલમય પ્રસંગે લોકભવન પરિવારના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તથા નગરના ગણમાન્ય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કથામૃતનું રસપાન કર્યું હતું.