₹200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં નવો વળાંક: જેકલીન ફર્નાન્ડીઝે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી
સુપ્રીમ કોર્ટે ગુરુવાર, ૨૫ જૂન ૨૦૨૬ના રોજ બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને પટિયાલા હાઉસ કોર્ટની સ્પેશિયલ PMLA કોર્ટના આદેશને પડકારતી પોતાની સ્પેશિયલ લીવ પિટિશન (SLP) પાછી ખેંચવાની મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે આ અરજી પાછી ખેંચવાની પરવાનગી આપી છે. ૩૦ મે ૨૦૨૬ના રોજ કોર્ટે કથિત મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા ૨૦૦ કરોડના કથિત ખંડણી રેકેટના મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન સામે આરોપો (ચાર્જ) નક્કી કર્યા હતા.
જેકલીન ફર્નાન્ડીઝે કોર્ટમાંથી પાછી ખેંચી અરજી
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની વેકેશન બેન્ચે આ અરજી પાછી ખેંચવાની મંજૂરી ત્યારે આપી, જ્યારે એક્ટ્રેસ જેકલીનના વકીલે અરજી પાછી ખેંચીને યોગ્ય કાનૂની રસ્તો અપનાવવાની પરવાનગી માંગી. આ મામલો ઓગસ્ટ ૨૦૨૧માં અદિતિ સિંહની ફરિયાદથી શરૂ થયો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરની આગેવાની હેઠળના એક સિન્ડિકેટે તેમની સાથે આશરે ૨૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ સિન્ડિકેટ જેલની અંદરથી જ વરિષ્ઠ સરકારી અધિકારી બનીને કામ કરતું હતું.
સુકેશ ચંદ્રશેખરની ગિફ્ટ્સ જેકલીન ફર્નાન્ડીઝ પર ભારે પડી
દિલ્હી પોલીસ દ્વારા નોંધવામાં આવેલા મુખ્ય ગુના (પ્રેડિકેટ ઓફેન્સ)ના આધારે EDએ PMLA હેઠળ મની લોન્ડ્રિંગનો ગુનો નોંધ્યો હતો. EDના જણાવ્યા અનુસાર, સુકેશે ગુનાની કમાણીનો ઉપયોગ અનેક જાણીતી હસ્તીઓને લક્ઝરી ભેટ અને ફાયદા પહોંચાડવા માટે કર્યો હતો. આરોપ છે કે, જેકલીન ફર્નાન્ડીઝને પણ તેનો લાભ મળ્યો હતો, કારણ કે સુકેશે તેને આશરે ૫.૭૧ કરોડ રૂપિયાની ભેટ આપી હતી. જેમાં લક્ઝરી બેગ, દાગીના, ઘડિયાળો, પરિવારના સભ્યો માટે ગાડીઓ, વિદેશી ફંડ ટ્રાન્સફર અને અન્ય કિંમતી વસ્તુઓ સામેલ હતી.
મની લોન્ડ્રિંગ કેસમાં ફસાઈ જેકલીન ફર્નાન્ડીઝ
૩ જુલાઈ ૨૦૨૫ના રોજ દિલ્હી હાઈકોર્ટે ECIR અને પ્રોસિક્યુશનની ફરિયાદને રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, જેકલીનને આ ૨૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસની કેટલી જાણકારી હતી અને તેમનો ઈરાદો શું હતો? તેનો નિર્ણય માત્ર ટ્રાયલ (સુનાવણી) દરમિયાન જ થઈ શકે છે. ચાર્જ નક્કી કરતા પહેલા નહીં. કોર્ટે સ્વીકાર્યું કે ચાર્જ નક્કી કરવાની કાર્યવાહી હજી પેન્ડિંગ છે અને પ્રોસિક્યુશનના કેસને સંપૂર્ણ ટ્રાયલ વિના ફગાવી શકાય નહીં. ત્યારબાદ ૩૦ મે ૨૦૨૬ના રોજ પટિયાલા હાઉસ કોર્ટ સ્થિત સ્પેશિયલ PMLA કોર્ટે સુકેશ ચંદ્રશેખર, જેકલીન ફર્નાન્ડીઝ અને અન્ય આરોપીઓ સામે ચાર્જ નક્કી કરવાનો આદેશ આપ્યો હતો.
- Advertisement -
- Advertisement -