મિડલ ઈસ્ટથી રાહતના સમાચાર: અમેરિકા-ઈરાન ડીલ બાદ ક્રૂડ ઓઈલના ભાવ 4% ગગડ્યા, ‘હોર્મુઝ જળમાર્ગ’ ટોલ-ફ્રી થતાં ભારતને મોટી આશા

આંતરરાષ્ટ્રીય રાજદ્વારી મોરચેથી ભારત સહિત સમગ્ર વિશ્વ માટે એક અત્યંત રાહતજનક અહેવાલ સામે આવ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ અને વિશ્વના સૌથી વ્યસ્ત હોર્મુઝ જળમાર્ગને ફરીથી ‘ટોલ-ફ્રી’ કરવાની જાહેરાત કરતાંની સાથે જ વૈશ્વિક બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવો કડાકાભેર તૂટ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સૈન્ય અને રાજકીય તણાવ બાદ આ ઐતિહાસિક સમજૂતી થઈ છે, જેના પર આગામી શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં સત્તાવાર હસ્તાક્ષર થવાની સંભાવના છે. આ કરાર હેઠળ હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) ને વેપારિક અવરજવર માટે સંપૂર્ણપણે મુક્ત કરવાનો નિર્ણય લેવાયો છે.
ભારત માટે કેમ સંજીવની સમાન છે આ સમજૂતી?
હોર્મુઝ જળમાર્ગ એ વૈશ્વિક તેલ પરિવહન માટેની મુખ્ય જીવાદોરી છે. આ માર્ગ ફરીથી સક્રિય થવાથી ભારત જેવા મોટા ઊર્જા આયાતકાર દેશોને અસાધારણ ફાયદો થશે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું કાચું તેલ અખાતી (ખાડી) દેશોમાંથી આયાત કરે છે અને તેના માટે હોર્મુઝ એ એકમાત્ર કી-રૂટ છે.
ઊર્જા નિષ્ણાતોના મતે, આ જળમાર્ગ ખુલવાથી:
-
કાચા તેલના સપ્લાય ચેઈનની અનિશ્ચિતતાનો અંત આવશે.
-
દરિયાઈ શિપિંગ અને ઇન્સ્યોરન્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે.
-
આયાત સસ્તી થતાં દેશમાં ઈંધણ આધારિત મોંઘવારી પર સીધું નિયંત્રણ લાવી શકાશે.
ક્રૂડ ઓઈલનો ભાવ ૧૧૯ ડોલરથી તૂટીને ૮૪ ડોલરે પહોંચ્યો
યુદ્ધ અને સપ્લાય ખોરવાઈ જવાના ભયને કારણે અગાઉ જે ક્રૂડ ઓઈલનો ભાવ ૭૦-૭૨ ડોલર પ્રતિ બેરલથી વધીને ૧૧૯ ડોલરની સપાટીએ પહોંચી ગયો હતો, તેમાં હવે મોટો કડાકો આવ્યો છે. ટ્રમ્પની જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ લગભગ ૪ ટકા ઘટીને પ્રતિ બેરલ ૮૪ ડોલરની આસપાસ આવી ગયો છે.
પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવો પર શું અસર થશે?
અગાઉ આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ ભડકે બળતા ઈંધણનો ઉત્પાદન ખર્ચ અસાધારણ વધી ગયો હતો. જો કે, શરૂઆતમાં સરકારે દેશમાં રિટેલ ભાવો સ્થિર રાખ્યા હતા, પરંતુ કેટલાક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ સામાન્ય જનતા પર મોટો આર્થિક બોજ ઝીંકાયો હતો:
-
પેટ્રોલ-ડીઝલ: કિંમતોમાં પ્રતિ લિટર આશરે ₹૭.૫૦ નો તોતિંગ વધારો ઝીંકાયો હતો.
-
સીએનજી (CNG): વાહનચાલકો માટે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹૬ નો વધારો કરાયો હતો.
-
એલપીજી (LPG): ઘરગથ્થુ રાંધણ ગેસ સિલિન્ડર પર બે તબક્કામાં કુલ ₹૮૯ નો ભાવવધારો કરાયો હતો.
ઓઇલ કંપનીઓ હજુ પણ ખોટમાં:
આંતરરાષ્ટ્રીય ભાવો ઘટવા છતાં સરકારી ઓઈલ માર્કેટીંગ કંપનીઓ (HPCL, BPCL, IOC) ને હજુ પણ મોટી રાહત મળી નથી. ઉદ્યોગ જગતના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રાહકોને અપાતી સબસિડી અને પડતર કિંમત કરતાં ઓછી કિંમતે ઇંધણ વેચવાના કારણે આ કંપનીઓ વર્તમાન સમયમાં પણ દરરોજ અંદાજે ₹૬૫૦ કરોડનું આર્થિક નુકસાન સહન કરી રહી છે. જો કે, ક્રૂડ ઓઈલના ભાવ ૮૪ ડોલર કે તેથી નીચે સ્થિર રહેશે તો આગામી દિવસોમાં આ કંપનીઓની ખોટ પૂરશે અને દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાનો રસ્તો સાફ થશે.
- Advertisement -
- Advertisement -