વડાપ્રધાન મોદીનું સ્લોવાકિયામાં ‘બ્રેડ અને મીઠા’ સાથે પરંપરાગત સ્વાગત; જાણો શું છે આ અનોખો રિવાજ

પીએમ નરેન્દ્ર મોદી પોતાના સ્લોવાકિયા પ્રવાસે રાજધાની બ્રાતિસ્લાવા પહોંચી ગયા છે. અહીં હોટેલ પહોંચવા પર લોકોએ પીએમ મોદીનું ખૂબ જ ઉષ્માભર્યું અને ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં હાજર રહેલા ભારતીય સમુદાયના લોકોએ ‘મોદી-મોદી’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.
બ્રેડ અને મીઠા (સોલ્ટ) સાથે સ્વાગત
બ્રાતિસ્લાવા પહોંચવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બ્રેડ અને મીઠા સાથે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્લોવાક સંસ્કૃતિમાં બ્રેડ અને મીઠા સાથે સ્વાગત કરવું એ મહેમાનગતિ, આદર અને સદ્ભાવનાનું પ્રતીક માનવામાં આવે છે.
દોસ્તી અને સુરક્ષાનું પ્રતીક છે આ પરંપરા
આ પરંપરામાં બ્રેડ સમૃદ્ધિ અને જીવન-પોષણનું પ્રતીક છે, જ્યારે મીઠું મૂલ્ય, મિત્રતા અને સુરક્ષાનું પ્રતીક છે. આ રીત-રિવાજના મૂળ સ્લેવિક (Slavic) પરંપરાઓમાં ઊંડા જોડાયેલા છે. તે દર્શાવે છે કે સ્લોવાકિયાના લોકો અન્યોનું ઉષ્માભર્યું સ્વાગત કરવાને અને ઘર તેમજ સમુદાયની ખુશીઓ વહેંચવાને કેટલું મહત્વ આપે છે. આ સાથે જ ‘લુચનિકા એન્સેમ્બલ’ (Lúčnica ensemble) દ્વારા વંદે માતરમની પ્રસ્તુતિ સાથે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
આઝાદ સ્લોવાકિયાની ધરતી પર પગ મૂકનારા પ્રથમ ભારતીય પીએમ
પીએમ મોદીનો આ પ્રવાસ ઐતિહાસિક છે. વર્ષ 1993માં સ્લોવાકિયાની આઝાદી પછી કોઈપણ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે, જેને લઈને ત્યાં રહેતા ભારતીય સમુદાયમાં ભારે જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પીએમ ફિકો અને રાષ્ટ્રપતિ પેલેગ્રીની સાથે કરશે મુલાકાત
પીએમ મોદી પોતાની આ યાત્રા દરમિયાન સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો અને રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની સાથે મુલાકાત કરશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ, ઓટોમોબાઈલ અને રેલ્વે નિર્માણને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા થશે.
‘મહાદેવ કીર્તન પ્રોજેક્ટ’ સાંભળી પીએમ મોદી મંત્રમુગ્ધ થયા
બ્રાતિસ્લાવામાં હોટેલ પહોંચવા પર સ્લોવાકિયાના મ્યુઝિકલ ગ્રુપ ‘મહાદેવ કીર્તન પ્રોજેક્ટ’ દ્વારા એક આધ્યાત્મિક પ્રસ્તુતિ આપવામાં આવી હતી, જેને સાંભળીને પીએમ મોદી પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે મુલાકાત
આ પહેલા પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવીને સ્વાગત કર્યું હતું. ભારત અને ફ્રાન્સ વચ્ચેની ઐતિહાસિક વિશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી (Strategic Partnership) પર બંને નેતાઓ વચ્ચે ફળદાયી ચર્ચા થઈ હતી.
બંને દેશો વચ્ચે 19થી વધુ કરાર થયા
આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, અવકાશ (સ્પેસ), પરમાણુ ઊર્જા અને ડિજિટલ ટેક્નોલોજી સહિત 19થી વધુ મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત અને ફ્રાન્સે મળીને ‘ઇનોવેશન રોડમેપ 2030’ લાગુ કર્યો છે, જે બંને દેશોની પ્રગતિનો માર્ગ મોકળો કરશે.
- Advertisement -
- Advertisement -