મહારાષ્ટ્રના પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. પિમ્પરી-ચિંચવડ પોલીસ ACP સચિન હિરેએ 8 મોતની પુષ્ટિ કરી છે. બીજી તરફ, CP અમિતેશ કુમારે જણાવ્યું કે પુણે સિટી પોલીસના અધિકાર ક્ષેત્રમાં આવતા હડપસર વિસ્તારમાં કુલ 4 મોત થયા છે. ત્યારબાદ અન્ય બે મોતોની પુષ્ટિ થઈ હતી. હાલ અનેક લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જોકે, ગઈકાલ સુધી પોલીસ આ મોતને કુદરતી ગણાવી રહી હતી. આવી સ્થિતિમાં પોલીસની કામગીરી અને તપાસ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસ ડેપ્યુટી કમિશનર સંદીપ આટોલે (પિમ્પરી ચિંચવડ)એ સાત લોકોના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ મામલે 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મૃતકોની ઓળખ દત્તા માધવરાવ સૂર્યવંશી (55), અશોક રમેશ ચવ્હાણ (52), રાહુલ શરદ ક્ષીરસાગર (45), વિજય ભુકુરલાલ શર્મા (45) અને અરુણ દાદર તરીકે થઈ છે. તમામ મૃતકો હડપસર અને સાસાનેનગર વિસ્તારના રહેવાસી હતા.
આ રીતે થતી હતી મિલાવટ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી યોગેશ વાનખેડેએ કથિત રીતે ઉરુલી કાંચનના રાજુ પ્રજાપતિ પાસેથી ગેરકાયદેસર દારૂ ખરીદ્યો હતો અને ત્યારબાદ તેમાં પાણી તથા અત્યંત ઝેરી ઔદ્યોગિક કેમિકલ મેથેનોલ ભેળવ્યું હતું. આ ઝેરી દારૂ કથિત રીતે ફુગેવાડીના કર્નલસિંહ વિરકા, હડપસરના આકાશ જાધવ અને દાપોલીના પપ્પુ કુરેશી દ્વારા ચલાવવામાં આવતા દારૂના અડ્ડાઓ મારફતે વેચવામાં અને સપ્લાય કરવામાં આવ્યો હતો.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કલ્પેશ અગ્રવાલની તાડીની દુકાનનો ઉપયોગ દારૂમાં મિલાવટ કરવા માટે થતો હતો. આ સાથે જ આ ભેળસેળયુક્ત દારૂનો એક જથ્થો શિવાજીનગરના વડારવાડીના રહેવાસી આર્યન સંજય ધોત્રેને પણ સપ્લાય કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.
8 આરોપીઓની ધરપકડ
આ દુર્ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે:
“આ અત્યંત કમનસીબ ઘટના છે. આ મામલે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ કેટલાક લોકોની ધરપકડ થઈ શકે છે. અમે આ આખા ઇકોસિસ્ટમનો પર્દાફાશ કર્યો છે. તેમનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની પણ તપાસ ચાલી રહી છે. પોલીસ પૂરો પ્રયાસ કરી રહી છે. હું માનું છું કે અમે આના મૂળ સુધી પહોંચીને આ દૂષણને સંપૂર્ણપણે ખતમ કરીશું.”


