“આ યુદ્ધ ક્યારે ખતમ થશે?” મિસાઇલ એટેકને કારણે 24 કલાકથી મુસાફરી કરી રહેલી અમીષા પટેલે વ્યક્ત કરી ચિંતા.

બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની સાથે બનેલી એક અત્યંત તણાવપૂર્ણ ઘટના શેર કરી છે. ન્યૂયોર્કથી મુંબઈની મુસાફરી કરી રહેલી અમીષા તે સમયે મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, જ્યારે સંયુક્ત આરબ અમીરાત (UAE) પર થયેલા મિસાઈલ હુમલાને કારણે તેની ફ્લાઈટનો રૂટ અધવચ્ચેથી બદલવામાં આવ્યો હતો. યુદ્ધ જેવી સ્થિતિને કારણે અમીષા સહિત સેંકડો મુસાફરોએ કલાકો સુધી અનિશ્ચિતતા અને ભયના ઓછાયા હેઠળ રહેવું પડ્યું હતું.
શું હતી સમગ્ર ઘટના?
અમીષા પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, તે એમિરેટ્સ એરલાઇન્સ દ્વારા ન્યૂયોર્કથી મુંબઈ પરત ફરી રહી હતી. વિમાન જ્યારે દુબઈ એરપોર્ટ પર લેન્ડ થવાની તૈયારીમાં હતું, ત્યારે જ અચાનક UAE ના હવાઈ ક્ષેત્ર (Airspace) ને સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યાં થયેલા તાજા મિસાઈલ હુમલાને પગલે સર્જાયેલી ગંભીર સ્થિતિને જોતા પાયલટે વિમાનને તાત્કાલિક ઓમાનના મસ્કત તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો.
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ચિંતા
પોતાના આ ભયાનક અનુભવને શેર કરતા અમીષાએ પોસ્ટમાં લખ્યું કે, “ન્યૂયોર્કથી મુંબઈ પરત આવતી વખતે એમિરેટ્સની ફ્લાઈટમાં જ્યારે અમે દુબઈમાં લેન્ડ કરવાના જ હતા, ત્યારે મિસાઈલ હુમલાને કારણે એરસ્પેસ બંધ કરી દેવાયું. અમારી ફ્લાઈટને મસ્કત વાળી દેવામાં આવી છે. આ યુદ્ધ આખરે ક્યારે ખતમ થશે? હું દરેકની સલામતી માટે પ્રાર્થના કરી રહી છું.”
24 કલાક બાદ પણ એરપોર્ટ પર મુસાફરી ચાલુ
મસ્કતમાં વિમાન રોકાયા બાદ સ્થિતિ સામાન્ય થતા અમીષા આખરે દુબઈ એરપોર્ટ પહોંચી હતી, પરંતુ તેની મુશ્કેલીઓનો અંત આવ્યો નહોતો. તેણે એરપોર્ટ લાઉન્જની તસવીરો શેર કરતા જણાવ્યું કે, ન્યૂયોર્કથી નીકળ્યાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે અને તે અત્યંત થાકેલી છે. કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોયા બાદ તે મુંબઈ આવવા માટે રવાના થઈ શકી હતી. અભિનેત્રીએ આ સમયને ‘અંતહીન’ ગણાવ્યો હતો.
- Advertisement -
- Advertisement -