રખિયાલ (દહેગામ): કુદરતની ક્રૂરતા જુઓ, જે આંખો પંદર દિવસ પછી બદ્રીકેદારના દર્શનના સપના સેવતી હતી.. એ જ આંખો આજે કાયમ માટે મીંચાઈ ગઈ. દહેગામ તાલુકાના રખિયાલ ગામે ગ્રામ પંચાયત પાસે ફ્લોરી મિક્ચર મશીનના ચાલકની ઘોર બેદરકારીએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. ..રમેશભાઈ નાથુભાઈ પટેલ નામના નિર્દોષ નાગરિકને મશીને એવી રીતે અડફેટે લીધા કે તેમને સંભળવાનો કે સંભાળવાનો મોકો સુધ્ધાં ન મળ્યો.

ભક્તિના માર્ગે નીકળતા પહેલા જ મોતનો ભેટો
સૌથી વધુ હૃદયસ્પર્શી વાત એ છે કે, મૃતક રમેશભાઈ આગામી પંદર દિવસમાં બદ્રીકેદારની યાત્રાએ જવાના હતા. ઘરમાં યાત્રાની તૈયારીઓ ચાલતી હતી, મનમાં શ્રદ્ધાનો દીવો પ્રજ્વલિત હતો, પણ વિધાતાએ કંઈક બીજું જ લખ્યું હતું. જે ચરણોએ કેદારનાથની પવિત્ર ભૂમિ પર પડવાનું હતું, તે ચરણો આજે રખિયાલની માટીમાં લોહીલુહાણ હાલતમાં થંભી ગયા.

ઘટનાની કરુણતા: એક બચ્યો, બીજો કચડાયો
ઘટના સમયે અશોકભાઇ (જગદીશકુમાર) હેમતાભાઈ પણ રમેશભાઈની સાથે જ હતા. કાળમુખું મિક્ચર મશીન જાણે રાક્ષસ બનીને ત્રાટક્યું હોય તેમ ધસી આવ્યું. જગદીશકુમાર સમયસૂચકતા વાપરી બાજુમાં કૂદી પડ્યા અને મોતના મુખમાંથી માંડ-માંડ બચ્યા, પરંતુ રમેશભાઈની કિસ્મત દગાખોર નીકળી. તે ભયાનક મશીન તેમના પર ફરી વળ્યું અને ક્ષણવારમાં જ લોહીના ખાબોચિયા વચ્ચે રમેશભાઈનો દેહ નિશ્ચેત થઈ ગયો.
ગામ આખું હિબકે ચઢ્યું: શું નિર્દોષનો જીવ આટલો સસ્તો?
ઘટનાની જાણ થતા જ રખિયાલ પંચાયત પાસે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. હસતા મુખે ઘરેથી નીકળેલા મોભીનો ક્ષત-વિક્ષત દેહ જોઈને પથ્થર દિલનો માણસ પણ રડી પડે તેવા દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોના આક્રંદથી રખિયાલની ગલીઓ ગુંજી ઉઠી હતી. લોકોમાં એક જ રોષ છે: “શું વાહનચાલકોની બેદરકારી માટે નિર્દોષ લોકોએ પોતાના જીવ જ આપવા પડશે?”
નિષ્કર્ષ: તંત્ર તપાસના કાગળો ભરશે, પંચનામા થશે અને કદાચ દંડ પણ વસૂલાશે.પણ પરિવારના આંસુ અને પરિવારની ખોટ કોણ પૂરશે? રસ્તા પર બેફામ ચાલતા આવા મશીનો હવે ‘યમરાજના વાહન’ બની રહ્યા છે.રમેશભાઈની અધૂરી રહી ગયેલી બદ્રીકેદારની યાત્રા આખા ગામને આજીવન એક ઘેરો જખમ આપી ગઈ છે.
શ્રદ્ધાંજલિ: ઈશ્વર રમેશભાઈના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ અસહ્ય આઘાત સહન કરવાની શક્તિ આપે.
અહેવાલ : કલ્પેશ ચૌધરી



