ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ‘જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના’ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ વધુ અસરકારક બનશે. રાજ્ય સરકારની આ ‘જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના’ હેઠળ દર વર્ષે 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે.
મેરિટમાં આવનારા 25 હજાર વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશીપ
મળતી માહિતી મુજબ, રાજ્યના વિદ્યાર્થીઓનું શિક્ષણ વધુ અસરકારક બને તે માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ‘જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના’ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ પ્રખરતા કસોટી લીધા બાદ મેરિટમાં આવનારા 25 હજાર વિદ્યાર્થીઓને ધો.9 અને ધો.10માં વાર્ષિક રૂ.20 હજાર તેમ જ ધો. 11 અને 12માં વાર્ષિક રૂ. 25 હજારની સ્કોલરશીપ આવવામાં આવશે. જો કે, પ્રખરતા કસોટી ધો.1થી 8 સુધી સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલો અથવા RTE હેઠળ અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ જ આપી શકશે.
1 મેથી 26 મે સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે
ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે આ યોજના હેઠળ સ્કોલરશીપની જાહેરાત કરાઈ છે, જેમાં પ્રથમ જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે શિક્ષણ વિભાગ દ્વારા 11 જૂનના રોજ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં પાસ થયા બાદ મેરીટના આધારે 25 હજાર વિદ્યાર્થીઓને ધો. 9માં આવ્યા પછી સ્કોલરશીપ અપાશે. RTEમાં અભ્યાસ કર્યા બાદ ધો. 9માં આવતા વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલી ન થાય તે માટે આ યોજના હેઠળ સ્કોલરશીપ આપવામાં આવશે. જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓ 1 મેથી 26 મે સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જ્યારે 11મી જૂનના રોજ પરીક્ષા લેવાશે. જો કે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે એક પણ રૂપિયો ફી ભરવાની રહેશે નહીં. અહેવાલ મુજબ, આ પરીક્ષામાં બેસનારા વિધાર્થીઓના વાલીની આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.1.30 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. 1.50 લાખથી વધુ હોવી જોઇએ નહીં. પરીક્ષા બાદ મેરિટમાં આવનારા વિધાર્થીઓની યાદી કમિશનર મારફતે ડીઇઓને મોકલાશે. ફાઇનલ મેરિટ જાહેર થયા બાદ સ્કોલરશીપની ચુકવણી કરાશે.

