રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને એમેઝોન વચ્ચે પાઠ્યપુસ્તક વિતરણ સેવાઓ અંગે ઐતિહાસિક MoU સંપન્ન
ખાનગી શાળાના વિદ્યાર્થીઓને એમેઝોનના માધ્યમથી પાઠ્યપુસ્તકો હવે છાપેલી કિંમતે કોઈપણ ડિલિવરી ચાર્જ વિના ઘરે બેઠા મળશે
ડિજિટલ યુગમાં આ MoU રાજ્ય સરકારનું ‘ઈઝ ઓફ એજ્યુકેશન’ની દિશામાં એક ક્રાંતિકારી કદમ સાબિત થશે: શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ખાનગી શાળાના વિદ્યાર્થીઓના હિતમાં તેમજ વાલીઓની સરળતા માટે વિદ્યાર્થીલક્ષી પહેલ કરવામાં આવી છે. પાઠ્યપુસ્તકો વધુ સરળતાથી, પારદર્શક રીતે અને ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુથી શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે પાઠ્યપુસ્તક મંડળ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન સાથે ઐતિહાસિક સમજૂતી કરાર-MoU કરવામાં આવ્યા છે.
‘ફક્ત એક ક્લિકથી પુસ્તકો વિદ્યાર્થી સુધી’ના ઉદ્દેશ્ય સાથે વિદ્યાર્થીઓને ભૌતિક પાઠ્યપુસ્તકો કોઈપણ પ્રકારની હાલાકી વિના પોતાના ઘરઆંગણે જ મળી રહે તેવા આશયથી મંડળે એમેઝોન સાથે આ મહત્વપૂર્ણ કરાર કર્યા છે. આ નવીન પહેલના પરિણામે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જરૂરિયાત મુજબ એમેઝોન પ્લેટફોર્મ પરથી સંબંધિત ધોરણના પાઠ્યપુસ્તકો સરળતાથી ઓનલાઇન ઓર્ડર કરી શકશે.

શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ રાજ્ય સરકારની પહેલને ઐતિહાસિક ગણાવી જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં ગુજરાત સરકારે ‘ઈઝ ઓફ એજ્યુકેશન’ની દિશામાં એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. આ કરાર હેઠળ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રસિદ્ધ તમામ માધ્યમ અને ધોરણોના પાઠ્યપુસ્તકો એમેઝોન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.
શિક્ષણમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણનું મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર થઈ રહ્યું છે. 100 ટકા નામાંકન અને સુવિધાસભર શાળાઓના નિર્માણ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ છેવાડાના બાળક સુધી પહોંચાડવા અમારી સરકાર કટિબદ્ધ છે.
તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ કે વાલીઓ પાસેથી કોઈપણ પ્રકારનો ડિલિવરી ચાર્જ લીધા વિના માત્ર પુસ્તક પર છાપેલી નિયત કિંમતે જ ઘરે બેઠા પુસ્તકો પહોંચાડવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે અપાતા પાઠ્યપુસ્તકો ઉપરાંત, જે વિદ્યાર્થીઓને પુસ્તકો ખરીદવાની જરૂરિયાત હોય તેઓ હવે બુક સ્ટોર પર ગયા વગર સીધા ઓનલાઇન ઓર્ડર કરી શકશે.
આ પ્રસંગે રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ શ્રી મનુભાઈ પવરાએ જણાવ્યું હતું કે, આ ભાગીદારી અંતર્ગત સેલ્ફ-ફાઇનાન્સ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને હવે પુસ્તકો ખરીદવા માટે રિટેલર કે ડિસ્ટ્રિબ્યુટરની દુકાનોના ધક્કા ખાવા નહીં પડે અને સમયનો પણ બચાવ થશે. એમેઝોનના વિશાળ લોજિસ્ટિક્સ નેટવર્ક દ્વારા પુસ્તકો વિદ્યાર્થીઓના ઘર સુધી સમયસર પહોંચાડવામાં આવશે. જેના પરિણામે સત્રની શરૂઆતમાં બુક સ્ટોર્સ પર થતી ભીડ, લાંબી કતારો અને સમયના વ્યયમાંથી વાલીઓ-વિદ્યાર્થીઓને કાયમી રાહત મળશે.
આ કાર્યક્રમમાં પ્રિન્ટિંગ અને પેપરની વૈશ્વિક સમસ્યાઓ વચ્ચે પણ ગોડાઉન ખાતે દિવસ-રાત પરિશ્રમ કરી સમયસર પુસ્તકો પહોંચાડનારા મંડળના કર્મયોગીઓ તેમજ માનદ સેવા આપનારા શિક્ષકોની નિષ્ઠાને સર્ટીફિકેટ આપીને મંત્રીશ્રીએ બિરદાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા દર વર્ષે સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓ માટે અંદાજે 1.5 કરોડ ગુણવત્તાસભર પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવે છે. હાલમાં આ પુસ્તકો તમામ જિલ્લાઓના અધિકૃત વિતરકો મારફતે પુસ્તક વિક્રેતાઓ સુધી પહોંચાડવામાં આવે છે.
આ કાર્યક્રમમાં પાઠ્યપુસ્તક મંડળના નિયામક શ્રી વિનયગીરી ગોસાઈએ સ્વાગત પ્રવચન તથા નાયબ નિયામક શ્રી હર્ષદ ચૌધરીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે એમેઝોનના પ્રતિનિધિ શ્રી રાશી બહાદૂર અને મલય ચૌધરી, શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ મંડળ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે એમેઝોન ઇન્ડિયાના કેટેગરી લીડર બુક્સ રાશિ બહાદુરે જણાવ્યું હતું કે, “ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સામગ્રી સુધી પહોંચ વિદ્યાર્થીની ક્ષમતાના વિકાસમાં ક્યારેય અવરોધરૂપ ન બનવી જોઈએ. ગુજરાત જેવા શૈક્ષણિક શ્રેષ્ઠતાને સતત પ્રાથમિકતા આપતા રાજ્ય સાથે ભાગીદારી કરવા બદલ અમને ગર્વ છે. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી શૈક્ષણિક સામગ્રી વધુ સુલભ અને વાજબી કિંમતે પહોંચાડવામાં સહયોગ આપવા માટે અમે આતુર છીએ.
ગુજરાત સ્ટેટ બોર્ડ ઑફ સ્કૂલ ટેક્સ્ટબુક્સ અને એમેઝોન ઇન્ડિયા વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ્ય ગુજરાતભરના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સામગ્રીને વધુ સુલભ, વાજબી કિંમતે અને સરળતાથી ઉપલબ્ધ બનાવવાનો છે. આ ભાગીદારી દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જરૂરી અભ્યાસસામગ્રી સરળતાથી મળી રહેશે, જે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફરને વધુ સશક્ત બનાવશે.
- Advertisement -
- Advertisement -