ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ
ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આ સંદર્ભમાં યોજાયેલી તિરંગા યાત્રામાં વિશાળ સંખ્યામાં તિરંગા સાથે નાગરિકો ઉમટી પડ્યા હતા.ગાંધીનગરના ગ-૬ સર્કલથી શરૂ થયેલી તિરંગા યાત્રાના અક્ષરધામ મંદિર સુધીના કુલ ૨.૪ કિલોમીટરના રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલિસ બેન્ડ અને નાસિક ઢોલ દ્વારા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. ઉપરાંત, પોલીસ વિભાગના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલ ‘ડેરડેવિલ્સ શો’ સૌ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ તિરંગા યાત્રાનો પ્રારંભ ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદિશ વિશ્વકર્મા અને શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ ધારાસભ્યો અને મુખ્યસચિવ શ્રી એમ.કે. દાસ સહિતના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાઓનું બલિદાન ચિરંજીવ રાખવા “હર ઘર તિરંગા” અભિયાન દેશમાં શરૂ થયું છે.

તેમણે ઉમેર્યુ કે, તિરંગા યાત્રા એ દેશની એકતા અને અખંડિતતાની યાત્રા છે અને જ્યારે આપણે હાથમાં તિરંગો અને હ્રદયમાં ભારત ભક્તિ લઈને આ યાત્રામાં જોડાઈએ છીએ ત્યારે “એક ભારત-શ્રેષ્ઠ ભારત”નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વિચાર સાકાર થાય છે.આજની પેઢી આઝાદીના લડવૈયાઓના ત્યાગ, તપસ્યા અને બલિદાનને જાણે તથા એમના જીવન કવનથી પ્રેરણા લઈ રાષ્ટ્ર પ્રથમની ભાવના આ પેઢીમાં કેળવાય તેવો ભાવ આ તિરંગા યાત્રામાં નિહિત છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, આપણે વિકસિત ભારત 2047 માટે આ તિરંગા યાત્રાથી અત્યારથી જ કર્તવ્યબદ્ધ થવાનું છે. એટલુ જ નહિ, દેશ માટે જીવી જાણવાની અને ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજીત કરવાની જે તક મળી છે તેને રાષ્ટ્ર પ્રથમના સંકલ્પથી પાર પાડવાની છે.
ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલે શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રધ્વજ માત્ર ત્રણ રંગોનું કાપડ નથી, પરંતુ તે આપણા રાષ્ટ્રીય ગૌરવ, એકતા, અખંડિતતા અને અપ્રતિમ શૌર્યનું અમર પ્રતીક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી આહ્વાનથી શરૂ થયેલું ‘હર ઘર તિરંગા’ અભિયાન આજે જન-જનના હૃદયમાં દેશભક્તિની અમર જ્યોત પ્રજ્વલિત કરી રહ્યું છે. ગાંધીનગરમાં યોજાઈ રહેલી આ ઐતિહાસિક તિરંગા યાત્રા દ્વારા આપણે સૌ ‘રાષ્ટ્ર પ્રથમ’ના પવિત્ર સંકલ્પને વધુ મજબૂત બનાવીએ અને દેશની એકતા તથા અખંડિતતા માટે પુનઃ પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ તેવો વિશ્વાસ મેયરશ્રીએ વ્યક્ત કર્યો હતો.
દેશભક્તિના રંગે રંગાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરી હતી.
આ યાત્રામાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી જે.એસ. પટેલ, ગુજરાત બાળ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ગાંધીનગર શહેર સંગઠન પ્રમુખ શ્રી આશિષભાઈ દવે, ગાંધીનગર જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, મહેસૂલ વિભાગના અગ્ર મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, ગાંધીનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, ડેપ્યુટી મેયર શ્રી જે.બી. ઠાકોર, પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, દંડક શ્રી સેજલબેન પરમાર, ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. એસ. પ્રજાપતિ, કલેક્ટર શ્રી રવીન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. કે. બ્રહ્મભટ્ટ, CRPFના DIG શ્રી ધર્મેન્દ્ર સિંહ, રેન્જ IG શ્રી વીરેન્દ્રસિંહ યાદવ આ ઉપરાંત અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ગાંધીનગરવાસીઓ જોડાયા હતા.
- Advertisement -
- Advertisement -