અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો મોટો હુમલો: ગ્રાઉન્ડ ઓપરેશનમાં 34ના મોત, અનેક ઘાયલ
પાકિસ્તાને પોતાના 4 સૈનિકોના મોતનો બદલો અફઘાનિસ્તાનના 34 લોકોને મારીને લીધો છે. પાકિસ્તાને મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં તબાહી મચાવી હતી. અફઘાનિસ્તાન બોર્ડર પર ગ્રાઉન્ડ મિલિટરી ઓપરેશન ચલાવવામાં આવ્યું. જેમાં 34 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે આ હુમલાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર યોજનાબદ્ધ રીતે હુમલા કર્યા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા, બલૂચિસ્તાન અને કરાચી સ્થિત પાકિસ્તાન રેન્જર્સ (સિંધ) કેમ્પમાં થયેલા આતંકી હુમલા અને નિર્દોષ લોકોની હત્યાનો બદલો લેવા માટે આ પલટવાર કરવામાં આવ્યો છે.
હથિયારો અને દારૂગોળો પણ નષ્ટ કર્યો પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલામાં મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ નષ્ટ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન અગાઉ પણ ઘણી વખત અફઘાન સરહદ પર અને અફઘાનિસ્તાનની અંદર આતંકી ઠેકાણાઓ પર હુમલા કરી ચૂક્યું છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP) ના આતંકીઓને આશ્રય આપ્યો છે. પાકિસ્તાનમાં આજ સુધી જેટલા પણ આતંકી હુમલા થયા છે. તે આ જ આતંકી સંગઠને કરાવ્યા છે અને આ સંગઠનને તાલિબાન સરકારનું સમર્થન, સંરક્ષણ અને મદદ મળી રહી છે. પાકિસ્તાને આ જ આતંકી સંગઠન વિરુદ્ધ મિલિટરી ઓપરેશન ચલાવ્યું છે.
બોર્ડર પર આવેલા જિલ્લાઓમાં ચલાવ્યું ઓપરેશન પાકિસ્તાની સેનાએ ગુપ્ત માહિતીના આધારે સૌથી પહેલા પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર આવેલા બાજોર જિલ્લામાં ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવ્યું. આ પછી અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારો પક્તિયા પ્રાંત, પક્તિકા પ્રાંત અને કુનાર પ્રાંતમાં 3 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા, જ્યાં 34 બળવાખોરો માર્યા ગયા. ઉલ્લેખનીય છે કે, 27 જૂનની રાત્રે કરાચીના ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં પાકિસ્તાન સિંધ રેન્જર્સના હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો હતો.જેમાં 4 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના સહયોગી સંગઠન ‘જમાત-ઉલ-અહરાર’ (JuA) એ લીધી હતી.
કરાચીમાં બે દિવસ પહેલા થયો હતો આતંકી હુમલો પાકિસ્તાનના કરાચીમાં સિંધ રેન્જર્સ (પેરામિલિટરી ફોર્સ) ના મુખ્યાલય પર આત્મઘાતી આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 4 રેન્જર્સના મોત થયા હતા. આ હુમલો કરાચીના સૌથી સુરક્ષિત વિસ્તારોમાંના એક એવા ગુલિસ્તાન-એ-જૌહર (બ્લોક 6) માં કરવામાં આવ્યો હતો. આતંકીઓએ વિસ્ફોટકોથી ભરેલી ગાડી મુખ્યાલયના ગેટ સાથે અથડાવી હતી.ત્યારબાદ મુખ્યાલયમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર અને ગ્રેનેડ એટેક કર્યા હતા. વળતી કાર્યવાહી કરતી વખતે પાક સેનાએ 6 હુમલાખોરોને ઠાર કર્યા હતા. પાકિસ્તાની સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અંદાજે 90 મિનિટ સુધી સંઘર્ષ ચાલ્યો હતો. સિંધના ઇન્સ્પેક્ટર જનરલ જાવેદ આલમ ઓઢોએ આ આતંકી હુમલાની પુષ્ટિ કરી હતી.
- Advertisement -
- Advertisement -