ટીવી જગતમાં શોકનો માહોલ: ‘કુમકુમ ભાગ્ય’ ફેમ અભિનેત્રી સંચિતા ઉગલેએ પંખે સાડી બાંધીને કરી આત્મહત્યા, કારણ અકબંધ

મનોરંજન જગતમાંથી એક ખૂબ જ આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતી ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. તેઓ માત્ર 30 વર્ષના હતા. સંચિતા મુંબઈને અડીને આવેલા નાલાસોપારા વિસ્તારમાં આચોલે પોલીસ સ્ટેશનની હદમાં રહેતી હતી. આ ઘટના રવિવારે સાંજે 5:30 થી 7:30 વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે. અભિનેત્રીના અચાનક અવસાનથી સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રી આઘાતમાં સરી પડી છે.
ઘરમાં એકલી હતી ત્યારે સાડી વડે ફાંસો ખાધો
પોલીસના જણાવ્યા અનુસાર, અભિનેત્રી તેના માતા-પિતા અને 15 વર્ષની નાની બહેન અંજલિ સાથે આચોલે ગામ સ્થિત ઘરમાં રહેતી હતી. રવિવારે સાંજે આશરે 5:30 વાગ્યે તેની નાની બહેન કોઈ કામસર બહાર ગઈ હતી અને માતા-પિતા પણ ઘરે નહોતા. આ દરમિયાન ઘરમાં એકલી રહેલી સંચિતાએ બેડરૂમમાં સીલિંગ ફેન સાથે સાડી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. બહેન જ્યારે ઘરે પરત ફરી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. પરિવારજનો અને સ્થાનિક લોકોની મદદથી તેને તાત્કાલિક મહાનગરપાલિકાની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
વિકી કૌશલની ‘છાવા’ અને ‘કુમકુમ ભાગ્ય’ જેવા પ્રોજેક્ટ્સમાં કર્યું હતું કામ
સંચિતા ઉગલે ટીવી અને ફિલ્મ જગતનો એક જાણીતો ચહેરો હતી. તેણે વ્હાઇટ હિલ સ્ટુડિયોની ફિલ્મ “દિલવાલી દૂલ્હા લે જાયેગી” માં ‘સુકૂન’ નું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત, વિકી કૌશલ સ્ટારર આગામી મોટી ફિલ્મ “છાવા” માં પણ તેણે ‘તારાબાઈ’ ની મહત્વની ભૂમિકા ભજવી હતી. સંચિતાએ “કુમકુમ ભાગ્ય” અને “વાગલે કી દુનિયા” જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં પણ અભિનય કર્યો હતો, જેનાથી તેને દર્શકોમાં સારી ઓળખ મળી હતી.
આત્મહત્યાનું કારણ હજી અસ્પષ્ટ, કોઈ સુસાઈડ નોટ નથી મળી
હાલમાં સંચિતાના આ આત્મઘાતી પગલા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કે મૃતદેહ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. આચોલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 194 હેઠળ અકસ્માત મોત (ADR) નો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની પૂછપરછ કરીને આત્મહત્યાના કારણો શોધવાનો પ્રયાસ કરી રહી છે.
- Advertisement -
- Advertisement -