ઉત્તર-પૂર્વી મ્યાનમારના શાન રાજ્યમાં આવેલી નામખામ ટાઉનશિપના કાઉંગટુપ ગામમાં રવિવારે બપોરે એક અત્યંત ભયાનક વિસ્ફોટ થયો હતો. ચીન સરહદથી માત્ર 3 કિલોમીટર દૂર થયેલા આ પ્રચંડ ધડાકામાં અત્યાર સુધીમાં 6 બાળકો સહિત 46 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જો કે, સ્થાનિક મીડિયા આ મૃત્યુઆંક 50 થી 55 હોવાનો દાવો કરી રહ્યું છે.
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી આસપાસના 100 થી વધુ ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. આ દુર્ઘટનામાં અન્ય 74 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે.
ગેરકાયદેસર સંગ્રહિત વિસ્ફોટકો બન્યા કાળનું કારણ
પ્રાથમિક તપાસ અહેવાલો અનુસાર, જે ઇમારતમાં બ્લાસ્ટ થયો ત્યાં માઇનિંગ (ખનન) અને પથ્થર તોડવાના કામ માટે મોટી માત્રામાં વિસ્ફોટકો સંગ્રહિત કરવામાં આવ્યા હતા. આ વિસ્તાર પર વર્ચસ્વ ધરાવતા વંશીય સશસ્ત્ર બળવાખોર જૂથ ‘તાઆંગ નેશનલ લિબરેશન આર્મી’ (TNLA) ના આર્થિક વિભાગ દ્વારા આ જથ્થો રાખવામાં આવ્યો હતો. હાલ વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.
TNLA જૂથની સ્પષ્ટતા: ઘટના બાદ TNLA દ્વારા એક સત્તાવાર નિવેદન જારી કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “આ વિસ્ફોટકો (જેલીગ્નાઈટ/ડાયનામાઈટ) માત્ર ખનન અને પથ્થરની ખાણોના વ્યવસાયિક ઉપયોગ માટે જ રાખવામાં આવ્યા હતા, તેનો હેતુ કોઈ સૈન્ય હથિયાર બનાવવાનો નહોતો.”
નોંધનીય છે કે જેલીગ્નાઈટનો જો લાંબા સમય સુધી અને અયોગ્ય તાપમાનમાં સંગ્રહ કરવામાં આવે, તો તે અત્યંત અસ્થિર અને ઘાતક બની જાય છે.

