કચ્છમાં પાણીપુરીનો ‘ઝેર’ જેવો સ્વાદ: લોડાઈ ગામમાં ફૂડ પોઈઝનિંગનો કેર, બાળકો-મહિલાઓ સહિત 50થી વધુ હોસ્પિટલમાં!
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોડાઈ ગામમાં રવિવારની સાંજ ગ્રામજનો માટે ભારે પડી હતી..ગામમાં ફેમસ લારી પર પાણીપુરીનો આનંદ માણ્યા બાદ અચાનક 50થી વધુ લોકોની તબિયત લથડતા લોડાઈ પંથકમાં દોડધામ મચી ગઈ હતી. ફૂડ પોઈઝનિંગની આ ઘટનામાં સૌથી વધુ ભોગ માસૂમ બાળકો અને મહિલાઓ બની છે.
શું બની હતી ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે સાંજે ગામની એક લારી પર લોકોએ હોંશે-હોંશે પાણીપુરી ખાધી હતી. જોકે, થોડા જ કલાકોમાં એક પછી એક લોકોને ઉલટી, ઉબકા અને અસહ્ય પેટમાં દુખાવાની ફરિયાદો શરૂ થઈ હતી. જોતજોતામાં દર્દીઓનો આંકડો 50ને પાર કરી જતાં સમગ્ર ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
યુદ્ધના ધોરણે સારવાર
ઘટનાની ગંભીરતા જોઈને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે તમામ અસરગ્રસ્તોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોની ટીમે ઈમરજન્સીમાં તમામ દર્દીઓની સારવાર શરૂ કરી દીધી હતી. રાહતની વાત એ છે કે, હાલ તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે.
તંત્ર એક્શન મોડમાં: નમૂના લેવાયા, દુકાનો સીલ
આ મોટી હોનારત બાદ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે:
-
સંપૂર્ણ બંધ: સાવચેતીના ભાગરૂપે લોડાઈ ગામની તમામ ખાણીપીણીની લારીઓ અને દુકાનો હાલ પૂરતી બંધ કરાવી દેવામાં આવી છે.
-
સેમ્પલિંગ: ફૂડ સેફ્ટી વિભાગે ઘટનાસ્થળે પહોંચી પાણીપુરીના પાણી અને અન્ય ખાદ્ય સામગ્રીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે.
-
તપાસ: ઉનાળાના પ્રારંભે જ બનેલી આ ઘટના પાછળ અસ્વચ્છતા કે દૂષિત પાણી જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે.
સાવચેતીનો સંદેશ: ઉનાળાની ગરમીમાં વાસી ખોરાક કે અસ્વચ્છ પાણી ગંભીર બીમારીનું કારણ બની શકે છે.તેથી બહારની વસ્તુઓ ખાતા પહેલા સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.
- Advertisement -
- Advertisement -