બિહારમાં ‘સમ્રાટ’ યુગનો પ્રારંભ: ભાજપના સમ્રાટ ચૌધરી બનશે નવા મુખ્યમંત્રી, નીતિશ કુમારની વિદાય

બિહારની સત્તાના સિંહાસન પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. મંગળવારે બિહારના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપના દિગ્ગજ નેતા સમ્રાટ ચૌધરીના નામ પર મહોર મારવામાં આવી છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમને સર્વસંમતિથી નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. આ સાથે જ બિહારના રાજકારણમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શાસન કરશે.જે એક ઐતિહાસિક ઘટના ગણાય છે.
નીતિશ કુમારની રાજકીય પારીનો અંત અને રાજીનામું
અગાઉ, નીતિશ કુમારે રાજ્યસભાના સભ્ય બન્યા બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.સીએમ તરીકેના પોતાના અંતિમ સંદેશમાં ભાવુક થતા નીતિશ કુમારે જણાવ્યું હતું કે, “હું પદ છોડી રહ્યો છું.પરંતુ નવી સરકારને મારું માર્ગદર્શન અને સહયોગ હંમેશા મળતા રહેશે.”
સમ્રાટ ચૌધરીનું પ્રથમ નિવેદન: “આ પવિત્ર અવસર છે”
મુખ્યમંત્રી તરીકે પસંદગી થયા બાદ સમ્રાટ ચૌધરીએ કેન્દ્રીય નેતૃત્વનો આભાર માનતા જણાવ્યું હતું કે:
“ભાજપે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું ઋણી છું.મારા માટે આ માત્ર એક પદ નથી, પરંતુ બિહારની જનતાની સેવા અને તેમના સપનાઓને સાકાર કરવાની એક પવિત્ર તક છે. હું સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો સંકલ્પ લઉં છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બિહારને વિકાસ અને સમૃદ્ધિના નવા શિખરો પર લઈ જઈશું.”
શિવરાજ સિંહ ચૌહાણે ગણાવી ઐતિહાસિક ક્ષણ
કેન્દ્રીય નિરીક્ષક શિવરાજ સિંહ ચૌહાણે આ પળને ભવ્ય ગણાવતા કહ્યું કે,”જનસંઘના સમયથી કાર્યકર્તાઓએ જે મહેનત કરી હતી. તેનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં બિહારમાં સુશાસનનો નવો સૂર્યોદય થશે.”
- Advertisement -
- Advertisement -