લાલુ પરિવારને મોટો ફટકો: “કોર્ટમાં ‘ઉલટી ગંગા’ નહીં વહે”, લેન્ડ-ફોર-જોબ્સ કેસમાં દસ્તાવેજોની માંગણી જજે ફગાવી
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લેન્ડ-ફોર-જોબ્સ કૌભાંડમાં પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીને જોરદાર ઝટકો આપ્યો છે. તપાસ એજન્સી દ્વારા જપ્ત કરાયેલા પરંતુ પુરાવા તરીકે રજૂ ન કરાયેલા (Non-Reliable) દસ્તાવેજો મેળવવાની તેમની અરજીને કોર્ટે સખત શબ્દોમાં ફગાવી દીધી છે.
ન્યાયિક પ્રક્રિયાને ‘ભૂલભૂલામણી’માં ધકેલવાનો પ્રયાસ
સ્પેશિયલ જજ વિશાલ ગોગનેએ લાલુ પ્રસાદ, રાબડી દેવી, તેમના અંગત સચિવ આર.કે. મહાજન અને પૂર્વ જીએમ મહીપ કપૂરની અરજીઓ પર સુનાવણી કરતા આકરી ટિપ્પણીઓ કરી હતી:
-
ઉલટી ગંગા: કોર્ટે સ્પષ્ટ કર્યું કે આરોપીઓ દ્વારા દસ્તાવેજોની માંગણી કરવી એ ‘ઉલટી ગંગા’ વહાવવા સમાન છે. જે ન્યાયિક પ્રક્રિયાને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી નાખશે.
-
શરતી સુનાવણી અસ્વીકાર્ય: આરોપીઓએ ઉલટતપાસ શરૂ કરવા માટે દસ્તાવેજોની ઉપલબ્ધતાને એક શરત તરીકે રજૂ કરી હતી.જેને કોર્ટે ‘અસ્વીકાર્ય’ ગણાવી છે.
-
કેસ લંબાવવાનો ઈરાદો: જજે 35 પાનાના આદેશમાં નોંધ્યું કે આરોપીઓનો ‘ગુપ્ત ઈરાદો’ કાયદાકીય ગૂંચવણો ઊભી કરીને કાર્યવાહીને લાંબી ખેંચવાનો જણાય છે.
શું છે આ ‘બિન-આશ્રિત’ (Non-Reliable) દસ્તાવેજોનો વિવાદ?
તપાસ દરમિયાન એજન્સીઓ ઘણી સામગ્રી જપ્ત કરે છે. પરંતુ ચાર્જશીટમાં માત્ર તે જ દસ્તાવેજોનો ઉપયોગ કરે છે જે ગુનો સાબિત કરવામાં મદદરૂપ હોય. લાલુ પ્રસાદના વકીલોએ એ તમામ દસ્તાવેજો માંગ્યા હતા જેનો ઉપયોગ પ્રોસિક્યુશન (અભિયોજન પક્ષ) કરી રહ્યું નથી.
કોર્ટનું અવલોકન: “દરેક દસ્તાવેજ મેળવવો એ આરોપીઓનો અધિકાર નથી. પહેલા પ્રોસિક્યુશન પોતાના પુરાવા રજૂ કરશે, ત્યારબાદ જ તે આધારે સુનાવણી આગળ વધશે. નક્કર બચાવ વિના આવા દસ્તાવેજોની મંજૂરી આપી શકાય નહીં.”
બચાવ પક્ષની દલીલો નકારી
કોર્ટે જણાવ્યું કે આરોપીઓને તે દસ્તાવેજોનું નિરીક્ષણ કરવાની પૂરતી તક અગાઉ આપવામાં આવી જ હતી. અરજી ફગાવી દેવાથી આરોપીઓના બચાવ પક્ષને કોઈ નુકસાન થશે નહીં. કોર્ટે કડક શબ્દોમાં ઉમેર્યું કે, નિષ્પક્ષ અને ઝડપી સુનાવણી સુનિશ્ચિત કરવા માટે કાયદાકીય જોગવાઈઓ મુજબ પુરાવા નોંધવા અનિવાર્ય છે અને આરોપીઓ પોતાની શરતો પર કોર્ટની કાર્યવાહી ચલાવી શકે નહીં.
- Advertisement -
- Advertisement -