પાકિસ્તાનના કરાચીમાં આવેલી માલીર જેલમાં બંધ 22 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. માલીર જેલના અધિક્ષકે કહ્યું હતુ કે માછીમારોને તેમની સજા પૂર્ણ થયા બાદ શુક્રવારે મુક્ત કરવામાં આવ્યા હતા. આજે તેને ભારતને સોંપી શકાય છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર, એધી ફાઉન્ડેશનના અધ્યક્ષ ફૈઝલ એધીએ માછીમારોને લાહોર પહોંચાડવા માટે પરિવહનની વ્યવસ્થા કરી હતી. તેમણે માછીમારોનો મુસાફરી ખર્ચ ઉઠાવ્યો અને તેમને ભેટો અને રોકડ પણ આપી. માછીમારો લાહોરથી ભારત પાછા ફરશે.
એધી ફાઉન્ડેશનના ચેરમેન ફૈઝલે બંને સરકારોને માછીમારો પ્રત્યે કરુણાપૂર્ણ અભિગમ અપનાવવા વિનંતી કરી. કારણ કે તેઓએ અજાણતાં દરિયાઈ સરહદ પાર કરી હતી. એધીએ લાંબા સમય સુધી જેલમાં રહ્યા પછી માછીમારોના પરિવારોએ ભોગવેલી વેદનાઓ પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે માછીમારોને તેમની સજા પૂર્ણ થયા પછી તાત્કાલિક મુક્ત કરવા અને તેમને વહેલા સ્વદેશ પરત મોકલવાની અપીલ પણ કરી હતી..
માછીમારોની વાઘા બોર્ડરથી વતન વાપસી
પાકિસ્તાની અધિકારીઓ વાઘા બોર્ડર દ્વારા ભારતીય માછીમારોને પરત મોકલે છે. જ્યાં ભારતીય અધિકારીઓ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તેમના ઘરે પાછા ફરવાની સુવિધા આપે છે.બંને દેશો ઘણીવાર અજાણતાં સીમાંકિત દરિયાઈ સીમાઓ પાર કરનાર માછીમારોની ધરપકડ કરે છે..
પાકિસ્તાનમાં ૨૬૬ ભારતીય કેદીઓ, ભારતમાં ૪૬૨
પહેલી જાન્યુઆરીએ બંને દેશોએ કેદીઓની યાદીઓનું આદાનપ્રદાન કર્યું, જે મુજબ પાકિસ્તાનમાં 266 ભારતીય કેદીઓ હતા.. જેમાં 49 નાગરિક કેદીઓ અને 217 માછીમારોનો સમાવેશ થાય છે. જયારે ભારતીય જેલોમાં લગભગ 462 પાકિસ્તાની કેદીઓ બંધ છે..જેમાં 381 નાગરિક કેદીઓ અને 81 માછીમારોનો સમાવેશ થાય છે.

