42 વર્ષ પહેલાં બ્રિટનમાં મૃત્યુ પામેલા ભારતીય મૂળના આઠ વર્ષના સ્કૂલના બાળકના કેસની તપાસ ફરી શરુ થઈ ગઈ છે. હજુ સુધી મૃતકના હત્યારાનો પત્તો લાગ્યો નથી, તેથી ફરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ચાર દાયકા પહેલા ઘરે પરત ફરતી વખતે તે ગુમ થઈ ગયો હતો. વિશાલ મેહરોત્રા નામનો આ બાળક 29 જુલાઈ 1981ના રોજ સાઉથ લંડનમાંથી ગાયબ થઈ ગયો હતો. એ જ દિવસે રાજા ચાર્લ્સ અને ડાયનાના શાહી લગ્ન થયા હતા. સાત મહિના પછી વેસ્ટ સસેક્સના રોગેટ ગામ નજીકથી વિશાલ મૃત હાલતમાં મળી આવ્યો હતો. હજુ સુધી તેની હત્યાના કેસમાં કોઈને દોષિત ઠેરવવામાં આવ્યા નથી. તેથી, કેસને ઉકેલવા માટે, યુકે પોલીસે ફરીથી કેસની તપાસ શરૂ કરી છે. જ્યારે ભારતમાં આવા ઘણા કિસ્સાઓ છે, જેમાં ગુનેગાર ન મળી આવતા કેસ બંધ કરી દેવામાં આવે છે.
યુકેની સસેક્સ પોલીસે જણાવ્યું છે કે સરે અને તેના સસેક્સ મેઝ ક્રાઈમ ટીમના વરિષ્ઠ તપાસકર્તાઓ બ્રિટનમાં બતાવવામાં આવેલી આ મામલા સાથે સંબંધિત હાલની એક ડોક્યુમેન્ટરી અને પોડકાસ્ટ સિરીઝ પર ચર્ચા કરવા માટે ગયા અઠવાડિયે વિશાલના પિતા વિશંભર મેહરોત્રા સાથે મુલાકાત કરી હતી. તપાસ ટીમે તેમને એમ પણ કહ્યું કે આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. વિશંભર મેહરોત્રા ત્યારથી જ તેમનો પુત્ર કયા સંજોગોમાં ગાયબ થયો અને તેની હત્યા કરવામાં આવી તેની સંપૂર્ણ તપાસ માટે ઝુંબેશ ચલાવી રહી છે.
ન્યાય ન મળે ત્યાં સુધી તપાસ ચાલુ રહેશે
સસેક્સ પોલીસના ઇન્વેસ્ટિગેટિવ સુપરિન્ટેન્ડેન્ટ માર્ક ચેપમેને જણાવ્યું કે, “અમે મેહરોત્રા અને વિશાલના પરિવારજનોની પીડા સાથે એ સવાલના જવાબ મેળવવાની એમની જિજ્ઞાસાને સમજીએ છીએ કે 1981માં તેની સાથે શું થયું હતું.” તેમણે કહ્યું, પોલીસ વિશાલના દુ:ખદ મૃત્યુ માટે જવાબદાર લોકોની ઓળખ કરવા અને તેના પરિવારને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છે. અત્યાર સુધી સઘન પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ અમે કોઈપણ નવી માહિતી પ્રાપ્ત કરવા અને આવકારવા તૈયાર છીએ અને અધિકારીઓ તપાસ માટે દરેક વાજબી એન્ગલથી તપાસ કરશે.

