પોલીસે લાહોરમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના ઘરને ઘેરી લીધું છે. પોલીસનો દાવો છે કે ઇમરાન ખાનના ઘરમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ લાહોરના જમાન પાર્કમાં ઇમરાન ખાનના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ એકઠી થઈ ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર તેમને એવા ઈનપુટ મળ્યા છે કે ઇમરાનના ઘરની અંદર 40 આતંકીઓ છુપાયેલા છે.
દરમિયાન, ઇમરાનના ઘરની પોલીસે ઘેરાબંધી કર્યાના સમાચાર મળતાની સાથે જ ઇમરાનના સમર્થકો મોટી સંખ્યામાં તેના ઘરની બહાર એકઠા થવા લાગ્યા છે. ભારે પોલીસ ફોર્સ અને તેમના સમર્થકો ઇમરાનના ઘરની બહાર એકઠા થયા બાદ અથડામણની શક્યતા પણ વધી ગઈ છે. જણાવી દઈએ કે ઇમરાન ખાનની પાકિસ્તાન રેન્જર્સે 9મી મેના રોજ કોર્ટ પરિસરમાંથી ધરપકડ કરી લીધી હતી. બાદમાં કોર્ટની દરમિયાનગીરી બાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા.
દરમિયાન, ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઇમરાન ખાન વિરુદ્ધ 9 મે પછી તેમની સામે નોંધાયેલા કોઈપણ કેસમાં તેમની ધરપકડ પર પ્રતિબંધના આદેશને
બુધવાર, 31 મે સુધી લંબાવી દીધો છે. હાઇકોર્ટે આ વ્યવસ્થા ત્યારે આપી જયારે સરકારના વકીલે ઇમરાન ખાન વિરુદ્ધ નોંધાયેલા કેસોની માહિતી આપવા માટે વધુ સમય માંગ્યો હતો.
સુનાવણી દરમિયાન ઇમરાન ખાન કોર્ટમાં હાજર હતા. કોર્ટ તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં ઈમરાન વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસોની વિગતો માંગવામાં આવી હતી. પીટીઆઈનો દાવો છે કે તેમની પાર્ટીના વડા ઇમરાન ખાન વિરુદ્ધ દેશભરમાં 100 થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. કોર્ટે સરકારી વકીલની વિનંતી સ્વીકારી અને સુનાવણી 31 મે સુધી મુલતવી રાખી.

