સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. સુરતમાં ભારે વાહનોને કારણે વાહનચાલકોને ઘણી મુશ્કેલી પણ વેઠવી પડતી હોય છે. આ સ્થિતિને જોતા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ શહેરમાં ભારે વાહનોને લઇ ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો છે, જેમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો શહેરમાં આવતા હોવાનો ઉલ્લેખ કરાયો છે અને આ અંગે જલદી પગલા લેવા સૂચન કરાયું છે.
માહિતી મુજબ વારાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને પત્ર લખી જણાવ્યું કે, સુરત શહેરમાં પોલીસ કમિશ્નરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો માટે સવારે 7થી રાત્રિના 10 વાગ્યા સુધી, તેમ જ અન્ય ભારે વાહનો માટે સવારે 8થી બપોરે 1 વાગ્યા તથા સાંજે 5થી રાત્રિના 10 વાગ્યા સુધીના પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે, પરંતુ આ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડર વગર બેફામ ભારે વાહનો ચાલે છે અને ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો કરે છે. તેમણે વધુમાં લખ્યું કે, આવા વાહનો સામે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, તો આવા વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશવા ન દેવા માટેની સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તેમનું કારણ મને લેખિતમાં દિન-7માં જણાવશો.

વિવિધ મુદ્દાઓ પર ધારાસભ્યે વિભાગોનું ધ્યાન દોર્યું
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કુમાર કાનાણી દ્વારા વિવિધ મુદ્દે તંત્ર અને શહેર પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું છે. શહેરમાં ગંદકીનો પ્રશ્નો કે પછી ગેરકાયદે બાંધકામનો મુદ્દો હોય ધારાસભ્ય કુમાર કાનાણીએ વિવિધ વિભાગના વહીવટી તંત્રને તેમની કામગીરી અંગે ધ્યાન દોર્યું છે. ત્યારે હવે ધારાસભ્યે શહેર ટ્રાફિક ડીસીપીને પત્ર લખી શહેરમાં પ્રતિબંધિત સમયમાં પ્રવેશતા ભારે વાહનો અંગે જાણ કરાઈ છે.

