રખિયાલની સદભાવના વિદ્યામંદિરમાં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી
દહેગામ તાલુકાના રખિયાલ ખાતે આવેલી સદભાવના વિદ્યામંદિર અને જે. જે. ત્રિવેદી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી અદભૂત ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં સંપન્ન થઈ હતી.

ગૌરવવંતા માહોલમાં ધ્વજવંદન
કાર્યક્રમની ભવ્ય શરૂઆત શાળાના વાલી શ્રી સંજીવકુમાર ઉદેસિંહ ઠાકોરના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગાન ગાઈને ત્રિરંગાને સલામી આપી હતી, જેનાથી સમગ્ર પરિસરમાં ગૌરવ અને દેશપ્રેમની દિવ્ય લહેર પ્રસરી ગઈ હતી.

આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો
ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમો આ સમગ્ર મહોત્સવનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા.
વિદ્યાર્થીઓ દ્વારા મધુર સ્વાગતગીત અને ઓજસ ફેલાવતા ‘માં તુજે સલામ’ જેવા દેશભક્તિ ગીતો રજૂ કરી સૌને દેશપ્રેમથી તરબોળ કરી દીધા હતા.આ ઉપરાંત ‘બમ બમ ભોલે’ ગીત પર આકર્ષક અભિનય નૃત્ય, પરંપરાગત ગરબો, મનમોહક ભક્તિ નૃત્ય તેમજ સાહસિક પિરામીડ નિર્માણ સહિત કુલ 12 જેટલી એકથી ચઢિયાતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.બાળકોનો આ જોશ અને ઉત્સાહથી ભરેલી પ્રસ્તુતિ જોઈને ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
ઉત્સાહવર્ધન અને મીઠાઈ વિતરણ
કાર્યક્રમની અંતિમ ક્ષણોમાં વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેનાર કુલ 105 વિદ્યાર્થીઓને ઇનામ સ્વરૂપે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીને કાયમ માટે યાદગાર બનાવવા સૌના મોં મીઠા કરાવતી મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેની સાથે જ આ રાષ્ટ્રીય મંગલ પ્રસંગની પૂર્ણાહુતિ થઈ હતી.
- Advertisement -
- Advertisement -