બનાસ સિવિલના તબીબોએ કરી કમાલ: 5 કલાકની જટિલ સર્જરી બાદ યુવાનને મળ્યું નવું જીવન, 7 વર્ષની પીડાનો અંત
ઉત્તર ગુજરાતની શાન ગણાતી બનાસ સિવિલ હોસ્પિટલે ફરી એકવાર જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે…વડગામ તાલુકાના તેનીવાડા ગામના 38 વર્ષીય યુવાન પર અત્યંત મુશ્કેલ સર્જરી કરી તબીબોએ તેમને મોતના મુખમાંથી ઉગારી નવજીવન આપ્યું છે.
7 વર્ષની યાતના અને આર્થિક લાચારી
તેનીવાડા ગામના દિનેશભાઈ છેલ્લા સાત વર્ષથી પેટના અસહ્ય દુખાવા, 400થી વધુ ડાયાબિટીસ અને પાચનની ગંભીર સમસ્યાઓથી પીડાતા હતા..આર્થિક સ્થિતિ નબળી હોવાથી અમદાવાદ જેવી મોટી હોસ્પિટલમાં સારવાર લેવી તેમના માટે અશક્ય હતી. આખરે, ગત 23 માર્ચે તેમને ગંભીર હાલતમાં પાલનપુર બનાસ સિવિલના ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા.
તબીબોની ટીમે 5 કલાકની જહેમત બાદ મેળવી સફળતા
હોસ્પિટલમાં થયેલા CT સ્કેન અને MRI રિપોર્ટમાં જાણવા મળ્યું કે દર્દીના પેન્ક્રિયાસ (સ્વાદુપિંડ) માં ગંભીર સોજો અને પથરી છે..સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડૉ. કલ્પેશ પટેલ અને તેમની ટીમ (ડૉ. રેખા, ડૉ. સાર્થક, ડૉ.ઋષિ) દ્વારા “લેટરલ પેન્ક્રિયાટિકો જેજુનોસ્ટોમિ” નામની અતિ જટિલ સર્જરી કરવામાં આવી હતી…સતત 5 કલાક સુધી ચાલેલા આ ઓપરેશન બાદ દર્દી હવે સંપૂર્ણ સ્વસ્થ છે.
₹2 લાખની સર્જરી તદ્દન મફત
ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરીનો ખર્ચ અંદાજે 2 લાખ રૂપિયાથી વધુ થાય છે..પરંતુ બનાસ સિવિલમાં આ સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી હતી…20 દિવસની સઘન સારવાર બાદ દિનેશભાઈને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ગરીબો માટે આશીર્વાદરૂપ ‘બનાસ સિવિલ’
વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને મેડિકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીની દેખરેખ હેઠળ આ હોસ્પિટલ આજે ગરીબ દર્દીઓ માટે સંજીવની સમાન બની છે..અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર અને નિષ્ણાત તબીબોના કારણે દરરોજ 1,800 થી વધુ દર્દીઓ અહીં શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યા છે..
- Advertisement -
- Advertisement -