ચોમાસું 2026: આ વર્ષે મેઘરાજાની મહેર ઓછી રહેશે? જાણો ખેડૂતો અને અર્થતંત્ર માટે ચિંતા જગાવતું સ્કાયમેટનું લેટેસ્ટ અનુમાન
ભારતમાં ખેતી અને અર્થતંત્રની જીવાદોરી ગણાતા ચોમાસાને લઈને ખાનગી હવામાન સંસ્થા ‘સ્કાયમેટ વેધર’ દ્વારા વર્ષ 2026 માટે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ અહેવાલ મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની શક્યતા છે.જે ખેડૂતો અને વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે. સ્કાયમેટના મતે, જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિના દરમિયાન દેશમાં લાંબા ગાળાની સરેરાશ (LPA) ના માત્ર 94% જેટલો જ વરસાદ થવાની સંભાવના છે.સામાન્ય રીતે 868.6 મિમી વરસાદને ‘સામાન્ય ચોમાસું’ ગણવામાં આવે છે.પરંતુ આ વર્ષે તે ઘટીને અંદાજે 817 મિમી સુધી મર્યાદિત રહી શકે છે.
આ વર્ષે ચોમાસા પર સૌથી મોટી અસર પ્રશાંત મહાસાગરમાં સર્જાઈ રહેલી ‘અલ નીનો’ (El Nino) ની સ્થિતિની જોવા મળશે.જ્યારે પ્રશાંત મહાસાગરમાં પાણીની સપાટી ગરમ થાય છે. ત્યારે પવનોની દિશા બદલાય છે અને આ ભૌગોલિક ફેરફારને કારણે ભારતમાં વરસાદ ખેંચાય છે અથવા ઓછો પડે છે.સ્કાયમેટના જણાવ્યા અનુસાર, જૂન મહિનામાં શરૂઆત 101% વરસાદ સાથે આશાસ્પદ રહેશે.પરંતુ જુલાઈમાં તે ઘટીને 95% અને ઓગસ્ટમાં 92% પર પહોંચી જશે.સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય વખતે વરસાદ સૌથી ઓછો એટલે કે 89% રહેવાની સંભાવના છે. જેની સીધી અસર ખરીફ પાકના ઉત્પાદન પર પડી શકે છે.
ગુજરાત અને પશ્ચિમ ભારત માટે આ સમાચાર ખાસા ચિંતાજનક છે. સ્કાયમેટ મુજબ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ચોમાસું નબળું રહેવાની પૂરી શક્યતા છે.વરસાદની આ અનિશ્ચિતતાને કારણે ચોમાસુ પાક અને ત્યારબાદ આવતા શિયાળુ પાકના ઉત્પાદન પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે. જોકે, ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં સરેરાશથી વધુ વરસાદની આશા છે. નિષ્ણાતોના તારણ મુજબ, આ વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા 30% છે. જ્યારે સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની શક્યતા 40% જેટલી રહેલી છે. માત્ર 10% જ એવી શક્યતા છે કે વરસાદ સરેરાશ કરતા વધે.
- Advertisement -
- Advertisement -