એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર નિમિશ શાહે ગઈકાલે ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થળે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેમની સુસાઇડ નોટમાં કામના ભારણને કારણે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે હવે આ મામલે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. કોલેજના અધિકારીઓએ કહ્યું કે, કોલેજમાં કોઈ કામનું ભારણ હોતું નથી. તમામ લોકોને શૈક્ષણિક કામગીરી જ સોંપવામાં આવે છે. જોકે, બીજી તરફ કોલેજના પ્રિન્સિપાલ રાજુલ ગજ્જર બનાવના દિવસથી 4 દિવસ રજા પર છે. તેમણે કયા કારણથી રજા લીધી છે, તે અંગે પણ કોઈને જાણ નથી.
આપઘાતમાં કામના ભારણની શક્યતા નથી- કોલેજ
મીડિયા અહેવાલ મુજબ, આ મામલે કોલેજના સત્તાધીશોએ ખુલાસો કર્યો છે કે, કોલેજમાં તમામ પ્રોફેસરને એક સમાન કામ સોંપવામાં આવે છે. શૈક્ષણિક કામ સિવાય અન્ય કામ પ્રોફેસરોને સોંપવામાં આવતું નથી. ત્યારે પ્રોફેસરની આત્મહત્યા મામલે કામના ભારણની કોઈ શક્યતા નથી. કોલેજના તમામ પ્રોફેસર પોતાના કામથી ખુશ છે.
પ્રિન્સિપાલ સામે હત્યાનો ગુનો નોંધવા NSUIની માગ
જણાવી દઈએ કે, મંગળવારે એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજના દરવાજા પાસે NSUIના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે ભારે હોબાળો મચાવ્યો હતો અને પ્રોફેસરના આપઘાત મામલે કોલેજ પોલીસ ફરિયાદ કરે તથા કોલેજના પ્રિન્સિપાલ રાજુલ ગજ્જર વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધવામાં આવે તેવી માગ કરી હતી. વિરોધ દરમિયાન NSUI દ્વારા એલડી કોલેજમાં સત્તાધીશોને કામના સોંપણી બાબતે ખખડાવવામાં આવ્યા હતા

