અંડમાન-નિકોબારને ટૂંક સમયમાં મળશે સત્તાવાર માન્યતા, રણજી ટ્રોફી રમવાનો રસ્તો સાફ!
ભારતમાં ક્રિકેટનો વ્યાપ અને લોકપ્રિયતા અત્યંત વિશાળ છે. બીસીસીઆઈ દ્વારા મોટા સ્તરે આયોજિત થતી ઘરેલુ સ્પર્ધાઓમાં દેશના લગભગ તમામ રાજ્યો ભાગ લે છે. હવે આ કડીમાં વધુ એક મોટો ઉમેરો થવા જઈ રહ્યો છે. કારણ કે બીસીસીઆઈ દ્વારા અંડમાન-નિકોબારને પણ ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટ્સમાં સામેલ કરવાની તૈયારી ચાલી રહી છે. અંડમાન-નિકોબારના ઉભરતા ખેલાડીઓ માટે આ અત્યંત ઉત્સાહવર્ધક સમાચાર છે.કારણ કે આગામી સમયમાં અહીંના પ્રતિભાશાળી યુવાનો બોર્ડ દ્વારા આયોજિત થતી મોટી નેશનલ ટૂર્નામેન્ટ્સમાં પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરી શકશે. બોર્ડ દ્વારા આ અંગેનો પ્રસ્તાવ પણ મૂકી દેવામાં આવ્યો છે. જોકે આ બાબતે અંતિમ નિર્ણય આગામી બેઠકમાં લેવામાં આવશે.
બીસીસીઆઈની 95મી વાર્ષિક સામાન્ય સભા (AGM) આગામી 18 સપ્ટેમ્બર 2026ના રોજ મુંબઈ સ્થિત મુખ્ય કાર્યાલય ખાતે યોજાવાની છે. આ બેઠકના એજન્ડામાં કેન્દ્રશાસિત પ્રદેશ અંડમાન-નિકોબાર આઈલેન્ડ્સને એસોસિયેટ મેમ્બરશિપ આપવાના પ્રસ્તાવનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈ દ્વારા તમામ સભ્ય એસોસિએશનોને નોટિસ મોકલીને આ મામલે તેમના અભિપ્રાય પણ મંગાવવામાં આવ્યા છે.
હાલની સ્થિતિએ દેશના દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢ જેવા કેન્દ્રશાસિત પ્રદેશો બીસીસીઆઈની ઘરેલુ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે અને સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી અગાઉ અનેક વખત રણજી ટ્રોફીનું વિજેતા બન્યું છે અને ભારતીય ક્રિકેટ ટીમને અનેક દિગ્ગજ ખેલાડીઓ આપ્યા છે. જ્યારે, જમ્મુ-કાશ્મીરે ગત વર્ષે જ રણજી ટ્રોફી પોતાના નામે કરીને ઈતિહાસ રચ્યો હતો.
પરંતુ અત્યાર સુધી અંડમાન-નિકોબાર ક્રિકેટ ટીમને બીસીસીઆઈની સત્તાવાર માન્યતા મળી નહોતી. અંડમાન-નિકોબાર ક્રિકેટ એસોસિએશન માત્ર પ્રાદેશિક સ્તરે જ ક્રિકેટનું સંચાલન અને દેખરેખ કરતું હતું. હવે બીસીસીઆઈ તરફથી આ વિસ્તારને એક મોટી ભેટ મળવા જઈ રહી છે. જો બોર્ડ દ્વારા અંડમાન-નિકોબારને સત્તાવાર સદસ્યતા પ્રદાન કરવામાં આવે છે.તો આવનારા દિવસોમાં આ ટીમ રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી જેવી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રમતી નજરે પડશે.જેનાથી સ્થાનિક ખેલાડીઓ માટે પ્રગતિના નવા દ્વાર ખૂલશે.
- Advertisement -
- Advertisement -