ઈન્દિરા નૂઈનું મોટું નિવેદન: ‘જો ભારતમાં હોત તો કદાચ ક્યારેય સીઈઓ ન બની શકી હોત ચીનના કર્યા વખાણ
ભારતીય મૂળના અગ્રણી બિઝનેસવુમન ઈન્દિરા નૂઈએ ભારત અને ચીનની વ્યવસ્થા તેમજ અમેરિકાની ગુણવત્તા આધારિત સિસ્ટમની સરખામણી કરીને એક નવો વૈચારિક વિવાદ છેડ્યો છે. હૂવર ઇન્સ્ટિટ્યુશનને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં તેમણે દાવો કર્યો છે કે, જો તેઓ ભારતમાં જ રહ્યા હોત તો કદાચ આજે જે મુકામ પર છે.. ત્યાં સુધી પહોંચી શક્યા ન હોત. આ સાથે જ તેમણે ચીનને ભારત કરતાં વધુ વ્યવસ્થિત અને પ્રવાસીઓ માટે અનુકૂળ દેશ ગણાવ્યો છે.
અમેરિકાની ‘મેરિટ સિસ્ટમ‘ના વખાણ: “ભારતમાં હોત તો પ્રગતિ અશક્ય હતી”
પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઈન્દિરા નૂઈએ અમેરિકાની યોગ્યતા (મેરિટ) આધારિત વ્યવસ્થાની મુક્તમને પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, અમેરિકાની આ જ સિસ્ટમે તેમને એ ઉચ્ચ સ્થાન અપાવ્યું જે કદાચ ભારતમાં રહીને મેળવવું અશક્ય હતું. તેમના મતે, કોઈ પરપ્રાંતીય ખાલી હાથે અમેરિકા આવે અને એક પ્રતિષ્ઠિત અમેરિકન મલ્ટીનેશનલ કંપનીનો સીઈઓ બની જાય, તેવી તકો અને વ્યવસ્થા દુનિયાના અન્ય કોઈ દેશમાં જોવા મળતી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારતમાં આ સ્તર સુધી પહોંચવું તેમના માટે ખૂબ મુશ્કેલ હતું.
ભારત અને ચીનની તુલના: ચીનની સગવડ વિરુદ્ધ ભારતની ‘અવ્યવસ્થા‘!
ઇન્ટરવ્યુ દરમિયાન ભારત અને ચીનની તુલના કરતા નૂઈએ જણાવ્યું કે, એક સામાન્ય પ્રવાસીના દ્રષ્ટિકોણથી ચીનમાં રહેવું એ ભારત કરતાં ઘણું વધારે સરળ અને સુવિધાજનક છે. જો તમને સંપૂર્ણ સ્વચ્છ અને અત્યંત વ્યવસ્થિત જીવનશૈલી પસંદ હોય, તો ભારતમાં રહેવું કદાચ મુશ્કેલ બની શકે છે.
જોકે, તેમણે ભારતની નબળાઈને જ તેની ખૂબી ગણાવતા ઉમેર્યું કે, “ભારતની સુંદરતા તેની અવ્યવસ્થા (Chaos) માં જ છુપાયેલી છે. જો કોઈ વિદેશીને આ માહોલ એકવાર ગમી જાય, તો તે વારંવાર ભારત આવવા ઈચ્છે છે.” તેમણે ભારતીય રસ્તાઓ પર વાહનોની વચ્ચે ફરતી ગાયોનું રસપ્રદ ઉદાહરણ આપતા કહ્યું કે, ભારતીયો ગમે તેવી અવ્યવસ્થા વચ્ચે પણ પોતાનો રસ્તો શોધી લેવાની અદભુત ક્ષમતા ધરાવે છે.
60 અને 70ના દાયકાનું ભારત: મહિલાઓ માટે તકોની મર્યાદા
પોતાના બાળપણના દિવસો અને સંઘર્ષને યાદ કરતા ઈન્દિરા નૂઈએ જણાવ્યું કે, 1960 અને 1970 ના દાયકાનું ભારત આજના આધુનિક ભારત કરતાં ઘણું અલગ હતું. તે જમાનામાં મહિલાઓની સામાજિક અને વ્યાવસાયિક ભૂમિકા ખૂબ જ મર્યાદિત હતી અને મોટાભાગની મહિલાઓ ઘરકામ પૂરતી જ સીમિત રહેતી હતી. આવી પરિસ્થિતિઓમાં પણ તેમના પિતા અને દાદાએ તેમને હંમેશા મોટા સપના જોવા અને ઉચ્ચ લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રેરણા આપી હતી. જેના કારણે તેઓ અમેરિકા જઈને પોતાની આગવી વૈશ્વિક ઓળખ બનાવી શક્યા.
લોકશાહી જ ભારતની સૌથી મોટી શક્તિ અને અમેરિકા સાથે ભાગીદારી
ચીનના ઝડપી આર્થિક વિકાસ અંગે વાત કરતા તેમણે સ્વીકાર્યું કે, ચીને તેની કેન્દ્રીકૃત (Centralized) શાસન વ્યવસ્થાના કારણે ત્વરિત નિર્ણયો લઈને આ વિકાસ કર્યો છે. જ્યારે ભારતમાં લોકશાહી હોવાથી નીતિગત નિર્ણયો લેવામાં વધુ સમય લાગે છે. આ છતાં તેમણે ભારતીય લોકશાહીની ગરિમાના વખાણ કર્યા હતા અને કહ્યું કે, લોકતાંત્રિક વ્યવસ્થામાં સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ (Transfer of Power) લોહી વહાવ્યા વગર શક્ય બને છે. જે આ દેશની સૌથી મોટી સાર્વભૌમ શક્તિ છે.
તેમણે ભારત અને અમેરિકાને એકબીજાના ‘કુદરતી ભાગીદાર’ (Natural Partners) ગણાવ્યા છે. ભારત પાસે વિશાળ યુવા વસ્તી, અંગ્રેજી બોલતો સક્ષમ વર્ગ તેમજ સોફ્ટવેર, એન્જિનિયરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે અદ્ભુત પ્રતિભા હોવાથી તે અમેરિકાનો સૌથી મહત્વનો વ્યૂહાત્મક અને વેપાર ભાગીદાર બનવાની ક્ષમતા ધરાવે છે.
કોણ છે ઈન્દિરા નૂઈ?
વૈશ્વિક કોર્પોરેટ જગતમાં ઈન્દિરા નૂઈની ગણતરી વિશ્વના સૌથી પ્રભાવશાળી અને સફળ લીડર્સમાં થાય છે.
-
જન્મ અને શિક્ષણ: તેમનો જન્મ તમિલનાડુના ચેન્નાઈમાં થયો હતો. તેમણે પ્રતિષ્ઠિત આઈઆઈએમ (IIM) કલકત્તામાંથી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જે બાદ તેઓ વધુ અભ્યાસ અને કરિયર માટે અમેરિકા ગયા હતા.
-
પેપ્સિકોમાં નેતૃત્વ: તેઓ લાંબા સમય સુધી વૈશ્વિક ફૂડ એન્ડ બેવરેજ ક્ષેત્રની જાયન્ટ કંપની ‘પેપ્સિકો’ (PepsiCo) ના સીઈઓ અને ચેરપર્સન તરીકે કાર્યરત રહ્યા હતા. તેમના કુશળ અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ કંપનીએ વૈશ્વિક સ્તરે પોતાના બિઝનેસ સામ્રાજ્યનો અભૂતપૂર્વ વિસ્તાર કર્યો હતો.
- Advertisement -
- Advertisement -