17 વર્ષની ગૌરવશાળી સૈનિક સેવા બાદ વિક્રમભાઈ ચૌધરીનું માદરે વતન ઓઢવામાં ભવ્ય સ્વાગત; બાઇક રેલી સાથે કરાયું સન્માન.
દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામના વતની વિક્રમભાઈ પરથીભાઈ ચૌધરી ભારતીય સેનામાં 17 વર્ષ સુધી ગૌરવપૂર્ણ અને નિષ્ઠાપૂર્વક સેવા આપી શુક્રવાર, તા. 3 જુલાઈ, 2026ના રોજ નિવૃત્ત થતાં પોતાના માદરે વતન ઓઢવા પરત ફર્યા હતા. તેમના વતન આગમન નિમિત્તે સમાજના આગેવાનો, પૂર્વ સૈનિકો, શુભેચ્છકો તથા મોટી સંખ્યામાં યુવાનોએ ભવ્ય સ્વાગત કરી દેશસેવાને અનોખું સન્માન આપ્યું હતું.

નિવૃત્ત સૈનિકના આગમન પ્રસંગે દાંતીવાડા વેપારી મથક ખાતે આવેલી કોલોની યુનિવર્સિટીના ગેટથી ઓઢવા ગામ સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન ડી.જે અને બેન્ડના તાલ સાથે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. હાથમાં તિરંગા લઈને યુવાનોએ “ભારત માતાની જય”, “વંદે માતરમ” સહિતના દેશભક્તિના નારાઓ અને ગીતો સાથે સમગ્ર વાતાવરણને દેશપ્રેમના રંગે રંગી દીધું હતું.
વિક્રમભાઈ ચૌધરીએ ભારતીય સેનામાં પોતાના 17 વર્ષના સેવાકાળ દરમિયાન જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન બોર્ડર, અરુણાચલ પ્રદેશ સહિત દેશના વિવિધ સંવેદનશીલ અને સરહદી વિસ્તારોમાં ફરજ બજાવી હતી. દેશની સુરક્ષા અને અખંડિતતા માટે તેમણે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજો નિભાવી હતી. તેમની આ ગૌરવપૂર્ણ દેશસેવાને બિરદાવતાં ઓઢવા ગામે પહોંચતા જ ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી અને સન્માનપત્ર અર્પણ કરીને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વિક્રમભાઈએ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરેલી ઓઢવા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકગણ, સંચાલક મંડળ અને પૂર્વ વિદ્યાર્થી પરિવાર દ્વારા પણ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી તેમની ગૌરવશાળી દેશસેવાને બિરદાવવામાં આવી હતી. શિક્ષકોએ જણાવ્યું હતું કે, શાળાના પૂર્વ વિદ્યાર્થી તરીકે વિક્રમભાઈએ ભારતીય સેનામાં રહી દેશનું ગૌરવ વધાર્યું છે. જે વર્તમાન વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે.
આ પ્રસંગે ગામ તેમજ સમાજના ઉત્સાહી યુવાનો, તાલુકા પંચાયતના સભ્યો, પૂર્વ સૈનિકો, સામાજિક આગેવાનો તેમજ અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પૂર્વ સૈનિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અને તેમની દેશસેવાને બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિક્રમભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, “ભારતીય સેનામાં 17 વર્ષ સુધી દેશની સેવા કરવાનો અવસર મળ્યો તે મારા જીવનનું સૌથી મોટું ગૌરવ છે. વતનના લોકો તરફથી મળેલો પ્રેમ અને સન્માન મારા માટે અમૂલ્ય છે. દેશસેવા કરતાં મોટું કોઈ કર્તવ્ય નથી અને હું ગામના યુવાનોને પણ ભારતીય સેનામાં જોડાઈ માતૃભૂમિની સેવા કરવા અપીલ કરું છું.”
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સમૂહ પ્રસાદ અને ભોજનનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને સામાજિક એકતાની ભાવનાથી ઓતપ્રોત બન્યો હતો.
- Advertisement -
- Advertisement -