‘મિસ્ત્રી માન જાઓ’થી ફેમસ થયેલી નિશા ચૌહાણની પતિએ કરી હત્યા
ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાંથી એક અત્યંત સનસનાટીભર્યો અને રૂંવાડા ઉભા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં સરૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હર્રા નગરમાં શુક્રવારે સવારે એક ઘરગથ્થુ વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સોશિયલ મીડિયા પર પોતાની રીલ્સ અને વીડિયો માટે પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર નિશા ચૌહાણની તેના જ પતિ પ્રદીપે ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દીધી હતી. દિલ દહલાવી દેનારી વાત એ છે કે, પત્નીનો જીવ લીધા બાદ આરોપી પતિએ પોતાના પર પણ ચપ્પુ વડે અનેક વાર કર્યા હતા. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમગ્ર લોહિયાળ ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.
પોલીસ પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, નિશા ચૌહાણ સરૂરપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા હર્રા નગરમાં રહેતી હતી. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હતી અને પોતાના વિસ્તારમાં એક બ્યુટી પાર્લર પણ ચલાવતી હતી. તાજેતરમાં જ તેનો એક વીડિયો, જેનું ટાઇટલ ‘મિસ્ટ્રી માન જાઓ’ (Mistry Maan Jao) હતું. તે સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થયો હતો.
શુક્રવારની સવારે કોઈ વાતને લઈને નિશા અને તેના પતિ પ્રદીપ વચ્ચે અણબનાવ શરૂ થયો હતો. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે પ્રદીપે ગુસ્સામાં આવીને નિશા પર ચપ્પુ વડે તૂટી પડ્યો. નિશાની ચીસાચીસ સાંભળીને જ્યાં સુધી પરિવાર અને આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થાય, ત્યાં સુધીમાં વધુ પડતું લોહી વહી જવાને કારણે નિશાએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ પ્રદીપે પણ ભયાનક પગલું ભર્યું હતું. તેણે તે જ ચપ્પુ વડે પોતાના શરીર પર પણ અનેક ઊંડા ઘા કર્યા હતા. લોહીલુહાણ હાલતમાં ચીસાચીસ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘાયલ પતિ પ્રદીપને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેની હાલત અત્યંત ગંભીર છે. પોલીસનું કહેવું છે કે, પ્રદીપ હોશમાં આવ્યા બાદ અને તેનું નિવેદન નોંધાયા પછી જ આ જઘન્ય હત્યાકાંડનું અસલી કારણ સામે આવી શકશે.
આ ભયાનક ઘટનાએ હસતા-રમતા પરિવારને સંપૂર્ણપણે બરબાદ કરી દીધો છે. નિશા અને પ્રદીપને ત્રણ બાળકો છે.જેઓ આ ઘટના બાદ ઊંડા આઘાતમાં સરી પડ્યા છે. સૌથી મોટો દીકરો દેવ (16 વર્ષ) છે. બીજો દીકરો એલિક્સ (14 વર્ષ) છે અને સૌથી નાની 11 વર્ષની દીકરી છે. આંખોની સામે માતાનું મોત અને પિતાને હોસ્પિટલના બિસ્તર પર જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા જોઈને ત્રણેય બાળકોનું રડી-રડીને ખરાબ હાલત છે.
ઘટનાની ગંભીરતાને જોતાં સરૂરપુર પોલીસની સાથે ફોરેન્સિક એક્સપર્ટની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને લોહીના નમૂના તેમજ અન્ય ભૌતિક પુરાવા એકત્ર કર્યા હતા. પોલીસે ઘરમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લઈ લીધા છે. જેમાં આખી ઘટના રેકોર્ડ થઈ છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, પ્રથમ દૃષ્ટિએ આ મામલો પતિ-પત્ની વચ્ચેના પરસ્પર વિવાદનો જ જણાઈ રહ્યો છે.પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
- Advertisement -
- Advertisement -