બનાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એન્ડ હેલ્થ સાયન્સિસના પ્રથમ બી.એસસી. નર્સિંગ બેચનો ઐતિહાસિક શપથવિધિ અને દીપ પ્રાગટ્ય સમારોહ યોજાયો.
બનાસ જનરલ હોસ્પિટલ, પાલનપુર ખાતે બનાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એન્ડ હેલ્થ સાયન્સિસના પ્રથમ બી.એસસી. નર્સિંગ બેચના વિદ્યાર્થીઓ માટે શપથવિધિ (Oath Taking Ceremony) તથા દીપ પ્રાગટ્ય (Lamp Lighting Ceremony) સમારોહ ભવ્યતા અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. ગુંજન ભાવસારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સમારોહ સંસ્થાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ ઉજ્જવળ શરૂઆતનું પ્રતીક બન્યો હતો.
સમારોહમાં બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પી. જે. ચૌધરી, બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ટ્રસ્ટના હોદ્દેદારો, તેમજ નર્સિંગ સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ફ્લોરેન્સ નાઇટિંગેલના સેવા, કરુણા, સમર્પણ અને માનવતાના આદર્શોને યાદ કરી પ્રજ્વલિત કરાયેલા દીપ દ્વારા વિદ્યાર્થીઓને નિઃસ્વાર્થ માનવસેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રથમ બેચના વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાયના ઉચ્ચ નૈતિક મૂલ્યો જાળવી રાખી દર્દીઓની સેવા, ગોપનીયતા, કરુણા, શિસ્ત અને વ્યાવસાયિક નિષ્ઠા સાથે કાર્ય કરવાની શપથ લીધી હતી.
પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે નર્સિંગ માત્ર એક વ્યવસાય નથી. પરંતુ માનવસેવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. દર્દીની સારવાર દરમિયાન નર્સ દર્દીના શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસને મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વિદ્યાર્થીઓને કરુણાભાવ, જવાબદારી અને સમર્પણ સાથે આરોગ્યસેવાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રેરિત કર્યા હતા.
વક્તાઓએ બનાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એન્ડ હેલ્થ સાયન્સિસ દ્વારા ગુણવત્તાસભર નર્સિંગ શિક્ષણ, આધુનિક લેબોરેટરી, અનુભવી ફેકલ્ટી અને બનાસ જનરલ હોસ્પિટલમાં મળતી ક્લિનિકલ તાલીમ જેવી સુવિધાઓ દ્વારા ભાવિ કુશળ અને સંવેદનશીલ નર્સિંગ પ્રોફેશનલ્સ તૈયાર કરવાની દિશામાં થઈ રહેલા પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સેવા અને સમર્પણનો દીપ પ્રજ્વલિત રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ શપથવિધિ અને દીપ પ્રાગટ્ય સમારોહ વિદ્યાર્થીઓના વ્યાવસાયિક જીવનની નવી શરૂઆતનું પ્રતિક બન્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ સાથે સમારોહ પૂર્ણ થયો હતો.
- Advertisement -
- Advertisement -