કરોડોનું કૌભાંડ અને તલવારોની ધાર! ગાંધીનગરમાં જીમ બહાર થયેલા ભયાનક હુમલામાં 11 આરોપીઓ ઝડપાયા
સરકારી પદ અને ડીલરશીપના નામે કરોડોનું કૌભાંડ
ગુજરાતના પાટનગર ગાંધીનગરના પોશ ગણાતા કુડાસણ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે એક ભયાનક લોહિયાળ ગેંગવોરની ઘટના સામે આવી.આ હિંસક હુમલા પાછળ સરકારી પદ અપાવવાના નામે આચરેલું કરોડો રૂપિયાનું કૌભાંડ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ ફરિયાદ અનુસાર, આ વિવાદની શરૂઆત એપ્રિલ 2025માં થઈ હતી. મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ ખેમચંદ રાઠોડે સરકારી કંપની GACLમાંથી ડીલરશીપ અપાવવાનો ભરોસો આપી ફરિયાદી ઉત્સવ પટેલના પિતા પાસેથી ₹15 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ, રાજસ્થાન સરકારમાં પોતાની મોટી વગ હોવાનો દાવો કરી, ઉત્સવના પિતાના મિત્ર શિવુજીલાલ ચૌધરીને ‘રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન’ (RTDC)માં ચેરમેન બનાવવાની લાલચ આપી હતી. આ પદ માટે મહેન્દ્રસિંહ અને તેના પુત્ર અભિમન્યુસિંહે એડવાન્સ પેટે ₹50 લાખ મેળવ્યા હતા. આમ, કટકે-કટકે કુલ 1 કરોડ 10 લાખ રૂપિયા (અને અન્ય મળી કુલ ₹1.27 કરોડ) પડાવી લીધા બાદ પણ કોઈ કામ થયું નહોતું.
પૂર્વ આયોજિત કાવતરું: જીમ બહાર હથિયારો સાથે તૂટી પડ્યા
નાણાં ડૂબી જતાં બંને પક્ષો વચ્ચે અગાઉ કોબા સર્કલ ખાતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ નાણાકીય લેતીદેતીનો કાયમી નિકાલ કરવા માટે ઉત્સવ પટેલના મિત્ર ભરતસિંહ ચંદાવતે આરોપી મહેન્દ્રસિંહને કુડાસણ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સ્થિત પોતાના જીમ પર વાતચીત માટે બોલાવ્યા હતા.
જો કે, આરોપીઓ પૈસા પાછા ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત પ્લાન સાથે આવ્યા હતા. મહેન્દ્રસિંહ અને તેનો પુત્ર અભિમન્યુસિંહ બીજા 10 જેટલા સશસ્ત્ર માણસોને ટુ-વ્હીલર પર લઈને ધસી આવ્યા હતા. આ ટોળાએ જીમ બહાર પહોંચતા જ, “વારંવાર શા માટે રૂપિયા માંગો છો, આજે જ તમારો હિસાબ પૂરો કરી દઈએ” તેમ કહીને ફરિયાદી પક્ષ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ લાકડીઓ અને ધોકા વડે ત્યાં પડેલી ફરિયાદીની મોંઘીદાટ વોક્સવેગન કારનો પણ કચ્ચરઘાણ વાળી દીધો હતો.
પીઠમાં છરી હુલાવી દીધી, ઈજાગ્રસ્તની હાલત નાજુક
હુમલાખોરોએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. આરોપી મહેન્દ્રસિંહે તીક્ષ્ણ છરી વડે ભરતસિંહના બંને હાથના કાંડા કાપી નાખ્યા હતા.જ્યારે તેના પુત્ર અભિમન્યુસિંહે ભરતસિંહની પીઠના ભાગે આખી છરી હુલાવી દીધી હતી. જેથી તેઓ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. મિત્રને બચાવવા વચ્ચે પડેલા ફરિયાદી ઉત્સવ પટેલને પણ આરોપીઓએ પેટ અને હાથ-પગના ભાગે છરીના અનેક ઘા ઝીંકી દીધા હતા.
હાલની સ્થિતિ: બૂમાબૂમ થતાં સ્થાનિકો એકઠા થઈ જતાં હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. હાલમાં ગંભીર રીતે ઘવાયેલા ભરતસિંહ ચંદાવત અમદાવાદની કે.ડી. હોસ્પિટલના આઇસીયુ (ICU) માં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઉત્સવ પટેલની ફરિયાદના આધારે ગાંધીનગરની ઇન્ફોસિટી પોલીસે તત્પરતા બતાવીને મુખ્ય સૂત્રધાર સહિત 11 શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
- Advertisement -