39.2 C
Ahmedabad
Sunday, June 28, 2026

દિવાલોથી ગ્લોબલ કેનવાસ સુધી: આદિવાસી આસ્થાનું પ્રતીક ‘પીઠોરા પેઇન્ટિંગ’ હવે વૈશ્વિક બજારમાં આત્મનિર્ભરતાનું હથિયાર!


ગાંધીનગર, ૨૬ જૂન ૨૦૨૬: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@2047” અને “વોકલ ફોર લોકલ”ના વિઝનને સાકાર કરવા ગુજરાત સજ્જ બન્યું છે. મધ્ય ગુજરાતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે આગામી ૨૯ અને ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC) યોજાવા જઈ રહી છે. આ પરિષદ માત્ર બિઝનેસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ગુજરાતની સદીઓ જૂની સમૃદ્ધ હસ્તકલા અને આદિવાસી સંસ્કૃતિને વૈશ્વિક મંચ આપવાનું એક ભવ્ય માધ્યમ બનશે.

આ પરિસરમાં ૨૯ જૂનથી ૩ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન યોજાનારા ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’ (VGRE) માં મધ્ય ગુજરાતની વિશ્વપ્રસિદ્ધ અને GI (Geographical Indication) ટેગ પ્રાપ્ત ‘પીઠોરા પેઇન્ટિંગ’ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ GI ટેગ પીઠોરા કલાની શુદ્ધતા, ગુણવત્તા અને તેના મૂળ આદિવાસી પ્રદેશ સાથેના અતૂટ સંબંધની વૈશ્વિક ઓળખ છે.

🐴 આસ્થાથી આજીવિકા: માટીની ભીંત પરથી આધુનિક કેનવાસ સુધીની સફર

પીઠોરા કલા એ માત્ર ચિત્રકામ નથી, પરંતુ એક પવિત્ર ધાર્મિક વિધિ છે. મૂળરૂપે છોટાઉદેપુર, વડોદરા અને પંચમહાલ જિલ્લાના રાઠવા, ભીલ અને ભીલાલા સમુદાયો દ્વારા ઘરની માટીની દિવાલો પર આ ચિત્રો કંડારવામાં આવતા હતા. પ્રકૃતિ, મનુષ્ય અને દૈવી શક્તિઓ વચ્ચે સુમેળ જળવાય અને ઘરમાં સમૃદ્ધિ આવે તે માટે આ પ્રાર્થના સ્વરૂપે આલેખાતી કલા છે.

સમય બદલાયો, સ્વરૂપ બદલાયું! બદલાતા સમય સાથે આ પરંપરાગત કલા માટીની દિવાલોમાંથી બહાર આવીને કેનવાસ, કાગળ, કાપડ અને હોમ ડેકોરની ચીજવસ્તુઓ સુધી પહોંચી છે. આ આધુનિક પરિવર્તને પીઠોરા કલાને લુપ્ત થતી બચાવી છે અને સ્થાનિક યુવા આર્ટિસ્ટો માટે આજીવિકાના નવા, ગ્લોબલ દરવાજા ખોલી આપ્યા છે.

🤝 ‘ગરવી ગુર્જરી’નો સથવારો: કલાકારોની આવકમાં ૩૦% સુધીનો વધારો

આધુનિક પાકા મકાનોના સર્જન વચ્ચે આ ભવ્ય વારસાને જીવંત રાખવા ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ (GSHHDC) તેની પ્રખ્યાત બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’ દ્વારા સંજીવની પૂરી પાડી રહી છે.

  • ડિરેક્ટ માર્કેટ લિંકેજ: છેલ્લા ૫ વર્ષમાં નિગમે પીઠોરા આર્ટિસ્ટો પાસેથી રૂ. ૬.૨ લાખથી વધુની કલાકૃતિઓ સીધી ખરીદી છે.

  • આવકમાં મોટો ઉછાળો: આ સંસ્થાકીય ટેકાના કારણે કલાકારોની આવકમાં ૧૫% થી ૩૦% સુધીનો નોંધપાત્ર વધારો થયો છે.

  • વ્યાપક નેટવર્ક: હાલમાં નિગમ ૫ માસ્ટર આર્ટિસ્ટ સાથે સીધું જોડાયેલું છે અને તેનાથી હજારો ગ્રામીણ આદિવાસી પરિવારોને પરોક્ષ રોજીરોટી મળી રહી છે.

“અગાઉ અમારી આવક ગામડાના સીમિત કામો પૂરતી જ હતી. પણ ‘ગરવી ગુર્જરી’ના વર્કશોપ અને મેળાઓના કારણે અમને નવા બજારો અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો મળ્યા છે, જેનાથી અમારું જીવનધોરણ બદલાયું છે.”નારણભાઈ રાઠવા (પીઠોરા આર્ટિસ્ટ, છોટાઉદેપુર)

💻 પરંપરા વત્તા ટેકનોલોજી: ડિજિટલ પ્લેટફોર્મ પર ‘મેડ ઇન ગુજરાત’

‘ગરવી ગુર્જરી’ કલાકારોને માત્ર આર્થિક મદદ જ નથી કરતી, પરંતુ તેમને ટ્રાન્સપોર્ટેશન સહાય, સ્ટોલ સહાય અને ગ્રાહકો સાથે સીધો સંવાદ કરાવવા માટે ‘લાઇવ ડેમોન્સ્ટ્રેશન’ની તકો આપે છે. રેગ્યુલર ડિઝાઇન વર્કશોપ દ્વારા કલાકારો હવે ટ્રેન્ડ મુજબ લેમ્પ, હોમ ડેકોર અને ફેન્સી પ્રોડક્ટ્સ પણ બનાવી રહ્યા છે. આ સાથે જ ‘મેડ ઇન ગુજરાત હેન્ડીક્રાફ્ટ સ્ટોરી’ જેવા સોશિયલ મીડિયા અને ડિજિટલ કેમ્પેઈન દ્વારા પીઠોરા આર્ટને ઓનલાઈન વર્લ્ડમાં પણ સુપરહિટ બનાવવામાં આવી રહી છે.

🏅 પદ્મશ્રી પરેશભાઈ રાઠવાના શબ્દોમાં: “ગરવી ગુર્જરીએ પીઠોરાને ગ્લોબલ કેનવાસ આપ્યો”

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને દિગ્ગજ પીઠોરા આર્ટિસ્ટ શ્રી પરેશભાઈ રાઠવાએ ગૌરવભેર જણાવ્યું હતું કે:

“ગુજરાતનું ગૌરવ એવી ‘ગરવી ગુર્જરી’એ માત્ર પીઠોરા કલાને જ નથી બચાવી, પણ મારા આદિવાસી સમુદાયના કલાકારોને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવ્યા છે. આપણી માટીની આ સુગંધને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય નિગમે કર્યું છે.

પ્રાચીન કલાને આધુનિક માર્કેટની જરૂરિયાત મુજબ રજૂ કરીને ગરવી ગુર્જરીએ આપણી યુવા પેઢીને ફરીથી આ સંસ્કૃતિ તરફ વાળી છે. એક કલાકાર તરીકે, મને મારી હસ્તકલાનું સાચું મૂલ્ય, સન્માન અને માર્કેટિંગની સમજ આ પ્લેટફોર્મથી જ મળી છે. એક સમયે ઘરની ભીંતો સુધી સીમિત કલા આજે ગ્લોબલ કેનવાસ પર ચમકી રહી છે. આ માત્ર આજીવિકા નથી, આદિવાસી સમાજની આસ્થા અને અસ્તિત્વની ઓળખ છે.”

🎨 કોઈ પણ બે ચિત્રો ક્યારેય એકસરખા હોતા નથી!

વર્ષ ૨૦૨૧માં જીયોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ મેળવનારી આ કલાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ ‘કોપી-પેસ્ટ’ નથી હોતું. દરેક આર્ટિસ્ટ પોતાની કલ્પના મુજબ રંગો, આકૃતિઓ અને પ્રતીકો નક્કી કરે છે. તેથી, દુનિયામાં કોઈ પણ બે પીઠોરા પેઇન્ટિંગ ક્યારેય એકસરખા હોતા નથી!

આ ચિત્રોમાં પરંપરાગત ધનુષ્ય-બાણની સાથે આધુનિક જમાનાના વાહનો અને સમકાલીન જીવનના દ્રશ્યો પણ આબેહૂબ કંડારાય છે. બદલાતા ચિત્રો વચ્ચે પણ તેનો મૂળ આત્મા એ જ રહે છે – “માનવ, પ્રકૃતિ અને ભગવાન વચ્ચેનો અતૂટ સંબંધ.”

આગામી VGRC અને VGRE પ્રદર્શન આ ભવ્ય વિરાસતને નવું આકાશ આપશે અને “આત્મનિર્ભર ભારત” ની દિશામાં ગુજરાતનું એક મજબૂત કદમ સાબિત થશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -