ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાના સાતમા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામનો વનવાસ, ઋષિ-મુનિઓના આશ્રમોની મુલાકાત, સીતા હરણ તથા જટાયુના બલિદાનનું અત્યંત ભાવવાહી વર્ણન કર્યું હતું. આ માર્મિક પ્રસંગો અને ભજન-કીર્તનના સૂરથી સમગ્ર લોકભવનનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

કથાના મુખ્ય પ્રેરણાદાયી અંશો:
-
આપત્તિમાં જ સાચી કસોટી: આચાર્યશ્રીએ જણાવ્યું કે, અત્રિ ઋષિના આશ્રમમાં સતી અનુસૂયાજીએ માતા સીતાને પતિવ્રત ધર્મનો ઉપદેશ આપતાં એક શાશ્વત સત્ય સમજાવ્યું હતું કે—ધીરજ, કર્તવ્ય, મિત્ર અને જીવનસાથી, આ ચારની ખરી કસોટી સુખના દિવસોમાં નહીં, પરંતુ આપત્તિના સમયમાં જ થાય છે.
-
વેદકાલીન આદર્શોનું પાલન: ભરતજીને ચરણ પાદુકા સોંપીને અયોધ્યા મોકલ્યા બાદ શ્રીરામ દક્ષિણ તરફ આગળ વધ્યા. વનવાસ દરમિયાન તેમનું જીવન વેદોમાં દર્શાવેલા આદર્શો અને ઋચાઓનું જીવંત ઉદાહરણ હતું. તેમણે ઋષિઓની નિર્ભયતા માટે વનને રાક્ષસોથી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો.
-
શૂર્પણખા પ્રસંગ (વિકારોનું પ્રતીક): આચાર્યશ્રીએ સમજાવ્યું કે, જે વ્યક્તિ દિવ્ય પુરુષ અને સત્યના માર્ગમાં વિકાર લઈને આવે છે.તેની અધોગતિ નિશ્ચિત છે. લક્ષ્મણજી દ્વારા શૂર્પણખાના નાક-કાન કાપવા એ કુતર્ક અને અહંકારના વિનાશનું પ્રતીક છે.
-
જટાયુનું સર્વોચ્ચ બલિદાન: માતા સીતાના હરણ સમયે જટાયુએ જે અદભુત સાહસ અને વીરતા દર્શાવી, તે કર્તવ્યપાલનનું સર્વોચ્ચ ઉદાહરણ છે. જ્યારે કોઈ વ્યક્તિ ધર્મના માર્ગ પર ચાલીને પોતાના કર્તવ્યનું પાલન કરે છે. ત્યારે તેને ઈશ્વરનું સાનિધ્ય (મોક્ષ) અવશ્ય પ્રાપ્ત થાય છે.
“શ્રીરામનું જીવન એ માત્ર એક વાર્તા નથી. પરંતુ વેદોના જ્ઞાનને જીવંત સ્વરૂપે ધરતી પર ઉતારવાનો દિવ્ય માર્ગ છે.” – આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ
મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ:
કાર્યક્રમની શરૂઆતમાં પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરીને આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું ફૂલહારથી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા:
-
શ્રી આચાર્ય દેવવ્રતજી (માનનીય રાજ્યપાલ, ગુજરાત)
-
શ્રી જીતુભાઈ વાઘાણી (માનનીય કૃષિ મંત્રી)
-
શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા (માનનીય આરોગ્ય રાજ્ય મંત્રી)
-
શ્રી દેવુસિંહ ચૌહાણ (માનનીય સાંસદ)


