બનાસ સિવિલની વધુ એક સિદ્ધિ: લાખણીના યુવકના જડબામાંથી એક વર્ષ જૂની જટિલ ગાંઠ સફળતાપૂર્વક દૂર કરાઈ

બનાસકાંઠાના લાખણી તાલુકાના એક યુવકને છેલ્લા એક વર્ષથી સતાવતી જડબાની ગંભીર પીડામાંથી પાલનપુર બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના તબીબોએ મુક્તિ અપાવી છે. ખાનગી હોસ્પિટલોમાં લાંબી સારવાર છતાં રાહત ન મળતા, અંતે સિવિલના ડેન્ટલ વિભાગે જટિલ સર્જરી કરી પાણી અને રસી ભરાયેલી ગાંઠ દૂર કરી છે.
એક વર્ષની પીડાનો અંત
લાખણી તાલુકાના ભીમગઢ ગામના ૨૫ વર્ષીય જગદીશભાઈ ચૌધરી છેલ્લા એક વર્ષથી જડબામાં પાણી ભરાયેલી ગાંઠને કારણે અસહ્ય પીડા ભોગવી રહ્યા હતા. ખોરાક લેવામાં તકલીફ અને પેઢામાં સતત દુખાવાને કારણે તેમણે અનેક ખાનગી હોસ્પિટલોના ચક્કર કાપ્યા, મોંઘા ઈન્જેક્શનો અને દવાઓ લીધી, પરંતુ કોઈ સુધારો થયો નહોતો. અંતે લાખણી સરકારી હોસ્પિટલના તબીબોએ તેમને વધુ સારવાર માટે પાલનપુર સિવિલમાં રીફર કર્યા હતા.
તપાસ અને જટિલ શસ્ત્રક્રિયા
પાલનપુર સિવિલના ડેન્ટલ વિભાગમાં તપાસ દરમિયાન એક્સ-રે રિપોર્ટમાં જાણવા મળ્યું કે, જડબાના હાડકામાં એક મોટી ગાંઠ બની ગઈ હતી જે હવે રસીનું સ્વરૂપ ધારણ કરી રહી હતી. સિવિલ સુપરિટેન્ડન્ટ ડો. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ડેન્ટલ વિભાગની ટીમે તાત્કાલિક સર્જરીનો નિર્ણય લીધો.
સફળ સર્જરી કરનાર ટીમ:
-
ડેન્ટલ સર્જન: ડૉ. સ્વાતિ, ડૉ. રાજવી ઉપાધ્યાય, ડૉ. ટ્વિંકલ ચૌધરી અને ડૉ. નેહલ.
તબીબોની આ ટીમે એક કલાક સુધી ચાલેલી જટિલ શસ્ત્રક્રિયા બાદ જડબાના હાડકામાંથી પાણી અને રસીથી ભરાયેલી ગાંઠને જડમૂળથી દૂર કરી હતી. સમયસરના ઓપરેશનને કારણે ગાંઠ વધુ વિકરાળ બને તે પહેલા જ અટકાવી દેવામાં આવી હતી.
પરિવારે માન્યો આભાર
વર્ષોથી પીડાતા જગદીશભાઈને હવે ઓપરેશન બાદ સંપૂર્ણ રાહત છે. તેમની સ્થિતિ સ્થિર થતા પરિવારે સિવિલના તબીબો અને નર્સિંગ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
સેવાનું કેન્દ્ર: બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ
બનાસના પશુપાલકોના સહયોગથી બનેલી આ હોસ્પિટલ આજે શંકરભાઈ ચૌધરી (અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા) અને પી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉત્તર ગુજરાતનું ‘આરોગ્યધામ’ બની છે. અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર અને નિષ્ણાત તબીબોની સુવિધાને કારણે અહીં દરરોજ 1800થી વધુ દર્દીઓ વિશ્વાસ સાથે સારવાર લઈ રહ્યા છે.
- Advertisement -
- Advertisement -