મહારાષ્ટ્રમાં હૃદયદ્રાવક અકસ્માત: ઠાણેમાં પૂરઝડપે આવતી વેન સિમેન્ટ મિક્સર સાથે અથડાઈ, 11 લોકોના કમકમાટીભર્યા મોત

મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં સોમવારે સવારે એક કાળમુખો અકસ્માત સર્જાયો હતો. કલ્યાણ-મુરબાદ નેશનલ હાઈવે પર પૂરઝડપે દોડતી એક વેન અને સિમેન્ટ મિક્સર વચ્ચે થયેલી પ્રચંડ ટક્કરમાં 11 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.આ અકસ્માત એટલો ભયાનક હતો કે, વેનનો લોખંડી કચડઘાણ નીકળી ગયો હતો.. અને ઘટનાસ્થળે લાશોના ઢગલા જોવા મળ્યા હતા.
રાયતા પુલ પર ‘કાળ’નો પંજો
મળતી માહિતી મુજબ,આ અકસ્માત સવારે 11:30 વાગ્યાની આસપાસ નેશનલ હાઈવે 61 પર મુરબાદના ગોવિલી ગામ નજીક આવેલા રાયતા પુલ પર બન્યો હતો.ટક્કર એટલી જોરદાર હતી કે 5 મુસાફરોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા.જ્યારે અન્ય ઇજાગ્રસ્તોએ હોસ્પિટલ પહોંચતા પહેલા અથવા સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
બચાવ કામગીરી: વેન કાપીને મૃતદેહો બહાર કઢાયા
અકસ્માત બાદ વેનનો આગળનો ભાગ સિમેન્ટ મિક્સરમાં દબાઈ જતાં મુસાફરો ખરાબ રીતે ફસાઈ ગયા હતા.સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી પોલીસને જાણ કરી હતી..ગેસ કટરની મદદથી વેનના પતરાં કાપીને મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.હાલમાં કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
પોલીસ તપાસ: પૂરઝડપ કે ઓવરટેકિંગ?
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતનું કારણ વેનની અતિશય ઝડપ અથવા જોખમી ઓવરટેકિંગ હોવાનું જણાય છે.પોલીસ હવે સિમેન્ટ મિક્સરના ચાલકની અટકાયત કરી તેની પૂછપરછ કરી રહી છે.ડ્રાઈવર નશામાં હતો કે કેમ અથવા વાહનમાં કોઈ યાંત્રિક ખામી હતી.. તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે..તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
- Advertisement -
- Advertisement -