સંત રામપાલને દેશદ્રોહના કેસમાં મળ્યા જામીન: શું 11 વર્ષ બાદ જેલના સળિયાની બહાર આવશે?

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સતલોક આશ્રમના સંચાલક સંત રામપાલને દેશદ્રોહના એક મહત્વના કેસમાં જામીન મંજૂર કર્યા છે. લગભગ 11 વર્ષ બાદ મળેલી આ મોટી કાનૂની રાહતને પગલે તેમના અનુયાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંત રામપાલ હાલમાં હરિયાણાની હિસાર જેલમાં સજા કાપી રહ્યા છે.
વર્ષ 2014નો એ હિંસક ઘટનાક્રમ અને ધરપકડ
સંત રામપાલની ધરપકડનો ઈતિહાસ ઘણો વિવાદાસ્પદ રહ્યો છે. વર્ષ 2014માં હરિયાણાના બરવાલામાં આવેલા તેમના સતલોક આશ્રમમાં હાઈડ્રામા સર્જાયો હતો. તે સમયે વહીવટીતંત્ર અને રામપાલના હજારો સમર્થકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. આ હિંસામાં 6 લોકોના કરૂણ મોત થયા હતા અને અનેક પોલીસકર્મીઓ સહિત સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પોલીસ દ્વારા સંત રામપાલ વિરુદ્ધ દેશદ્રોહ જેવી ગંભીર કલમો હેઠળ ગુના દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
જામીન છતાં જેલમુક્તિનો માર્ગ હજુ કાંટાળો
હાઈકોર્ટે ભલે જામીન આપ્યા હોય. પરંતુ સંત રામપાલ હજુ જેલમાંથી બહાર આવી શકશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. તેમની મુક્તિનો સંપૂર્ણ આધાર અન્ય પડતર કેસોની કાનૂની સ્થિતિ પર નિર્ભર છે.સંત રામપાલ વિરુદ્ધ અલગ-અલગ અદાલતોમાં હજુ પણ અનેક ગંભીર મુકદ્દમાઓ પેન્ડિંગ છે.જો અન્ય કેસોમાં પણ તેમને જામીન કે રાહત મળશે. તો જ તેઓ જેલની બહાર આવી શકશે. આ ઉપરાંત કોર્ટે જામીન આપતી વખતે કેટલીક આકરી શરતોનું પાલન કરવાનું પણ અનિવાર્ય બનાવ્યું છે.
એન્જિનિયરથી ‘સંત’ સુધીની સફર
સંત રામપાલના જીવનની શરૂઆત એક સામાન્ય સરકારી કર્મચારી તરીકે થઈ હતી. તેમનો જન્મ 1951માં હરિયાણામાં થયો હતો અને તેઓ આધ્યાત્મિક માર્ગે વળતા પહેલા સિંચાઈ વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ભગવદ ગીતા અને કબીર સાગરના ગહન અભ્યાસના આધારે આધ્યાત્મિક પ્રવચનો આપવા માટે જાણીતા છે. તેમના લાખો અનુયાયીઓ ભારત સહિત અનેક દેશોમાં ફેલાયેલા છે. જેઓ તેમને પોતાના સર્વોચ્ચ ગુરુ માને છે.
- Advertisement -
- Advertisement -