હવામાન એલર્ટ: કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી, દેશના 8 રાજ્યોમાં ‘ઓરેન્જ એલર્ટ’; ગુજરાતમાં પણ પારો ગગડશે


ઉત્તર ભારતમાં સક્રિય થયેલા બે બેક-ટુ-બેક ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ને કારણે દેશના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 અને 4 એપ્રિલ દરમિયાન આ સિસ્ટમ સૌથી વધુ સક્રિય રહેશે. જેના પરિણામે આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ, તેજ પવન અને કરા પડવાની આશંકા છે. ખાસ કરીને કાશ્મીર ખીણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
8 રાજ્યોમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર
હવામાન વિભાગ (IMD) દ્વારા જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં કલાકે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે આકાશી વીજળી અને કરા પડી શકે છે. આ ઉપરાંત બિહાર અને ઝારખંડમાં પણ માવઠાની પ્રબળ શક્યતા છે.
હવામાન વિભાગની મહત્વની આગાહી (IMD Updates):
-
વરસાદ અને કરા: ઉત્તર અને મધ્ય ભારતમાં 7 એપ્રિલ સુધી મેઘગર્જના સાથે વરસાદી માહોલ રહેશે. પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 4 એપ્રિલના રોજ કરા પડવાની શક્યતા છે.
-
તાપમાનમાં વધ-ઘટ: ઉત્તર-પશ્ચિમ ભારતમાં 4 એપ્રિલ સુધી મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે. જોકે, 5 અને 6 એપ્રિલે તાપમાનમાં સામાન્ય વધારો થયા બાદ ફરી પારો ગગડી શકે છે.
-
ગુજરાતની સ્થિતિ: ગુજરાતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. 3 એપ્રિલ સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે. 8 એપ્રિલ સુધી તાપમાન સ્થિર રહેવાની ધારણા છે.
-
મહારાષ્ટ્ર: રાજ્યમાં ગરમીનું જોર વધશે. 5 થી 9 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
યુપીમાં વરસાદી ઝાપટાં; સુલતાનપુર સૌથી ગરમ
ઉત્તર પ્રદેશમાં શુક્રવારે અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પ્રયાગરાજમાં 5.6 મીમી, વારાણસીમાં 2.6 મીમી અને ગાઝીપુરમાં 1.0 મીમી વરસાદ નોંધાયો હતો. રાજ્યની રાજધાની લખનઉમાં મહત્તમ તાપમાન 35.9 ડિગ્રી રહ્યું હતું, જ્યારે સુલતાનપુર 38.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું.
મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદનો કહેર: 1.22 લાખ હેક્ટરમાં પાક સાફ
મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને કરાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. સત્તાવાર માહિતી મુજબ, રાજ્યમાં 1.22 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને ભારે નુકસાન થયું છે. નાસિક પંથકમાં વરસાદી દુર્ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યના મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ અસરગ્રસ્ત ખેડૂતોને વળતરની ખાતરી આપતા નુકસાનીના આંકલન માટે તાત્કાલિક સર્વેના આદેશ આપ્યા છે.
- Advertisement -
- Advertisement -