લીહોડાની શ્રી ગાયત્રી વિદ્યામંદિરમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ રંગેચંગે યોજાયો.
લીહોડા સ્થિત શ્રી ગાયત્રી વિદ્યામંદિર ખાતે ધોરણ-10ના વિદ્યાર્થીઓની વિદાય અને એક ભવ્ય શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવાના આશયથી આ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રેરણાદાયી માર્ગદર્શન અને આશીર્વચન: આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નિવૃત્ત મેજર ભમરસિંહ ઝાલા તેમજ શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા ખુશ્બુબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મેજર ભમરસિંહ ઝાલાએ શિસ્ત અને દેશપ્રેમ સાથે કારકિર્દી ઘડતરના વિવિધ વિકલ્પોની રોચક માહિતી આપી હતી..જ્યારે ખુશ્બુબેને વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહી પરીક્ષા આપવા માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના ભૂતપૂર્વ ગણિત શિક્ષક જશુભાઇ પટેલ અને કેળવણી મંડળના પ્રમુખશ્રી જયદિપસિંહ ઝાલાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

સન્માન અને પ્રોત્સાહન: કાર્યક્રમ દરમિયાન કેળવણી મંડળના સભ્યો અને મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામો આપી નવાજવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય બી.જી.ચૌધરીએ વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી તેમનું સન્માન કર્યું હતું.

ભેટ અને અલ્પાહાર: દાતાઓના ઉદાર સહયોગથી ધોરણ-10ના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઉપયોગી એવી કિટ (રાઈટીંગ પેડ, બોલપેન) અને ચોકલેટની ભેટ આપવામાં આવી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓને અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો હતો.
આભાર વિધિ અને સંચાલન: સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા કૌશિકાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.અંતમાં દેવજીભાઈ પટેલે ઉપસ્થિત તમામ મહેમાનો, દાતાઓ અને સ્ટાફનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
- Advertisement -
- Advertisement -