માણસા તાલુકાના સમૌ ગામે સતત 31 વર્ષ સુધી ફરજ બજાવનાર પ્રમાણિક અને પ્રતિભાવશાળી શિક્ષિકા સુશીલાબેન ચુનીલાલ પટેલનો વિદાય સમારંભ યોજાયો હતો.
સુશીલાબેન પટેલના કાર્યકાળ દરમિયાન ગામની 2 પેઢીના બાળકો અંદાજિત 1446 વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ આપી તેમની ફરજ બજાવી હતી.
તેમજ શિક્ષિકા સુશીલાબેન પટેલ દ્વારા લેખિત પ્રાથમિક શાળાના વાંચન, લેખન અને ગણન માટે પોતાના નીચોડ અનુભવોના સ્વરૂપે ” જ્ઞાનની રેલગાડી” નામની પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા સુશીલાબેન ના કાર્યકાળ દરમિયાન તેમની કુશળતાને કારણે 5 સપ્ટેમ્બર 2019 ના રોજ ગાંધીનગર જિલ્લાના પ્રતિભાવશાળી શિક્ષક તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સુશીલાબેન પટેલ દ્વારા સ્કૂલમાં ભણેલી તમામ 580 વિદ્યાર્થીનીઓને ગુરુ-શિષ્યની પ્રતિકૃતિ વાળો પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો ભેટ તરીકે આપ્યો. તદુપરાંત બેન દ્વારા સમૌ ગામના હનુમાનજી મંદિરે સવા બે કિલો ચાંદી દાન સ્વરૂપે અર્પણ કરી હતી. શિક્ષિકાબેન દ્વારા હનુમાનપુરા પ્રાથમિક શાળા સહિત ગામની તમામ પ્રાથમિક શાળાઓમાં રૂપિયા ૨૧૫૦૦૦/- દાન સ્વરૂપે આપ્યા હતા. તેમજ તેમના પુત્ર જપન પટેલ દ્વારા ગામની તમામ 50 વર્ષથી વધુ વયની મહિલાઓને બે જ્યોતિર્લિંગ દર્શન કરાવવાની જાહેરાત કરી હતી. સાથે સાથે સમસ્ત હનુમાનપુરા(સમૌ) ગામના તમામ ગ્રામજનો તેમજ શાળામાં ભણેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સોનાની ચેન, સોનાની માળા, સોનાની વીંટીઓ અને ચાંદીની અગણિત ભેટો અને સન્માન પત્ર આપીને શિક્ષિકાબેનનું સન્માન કરાયું હતું.
રાત્રે ભવ્ય આતશબાજી સાથે ડ્રોન શો દ્વારા હનુમાનજીના દિવ્ય દર્શન કરાવ્યા તેમજ વિશ્વ વિખ્યાત વક્તાશ્રી રસરાજજી મહારાજ દ્વારા સંગીતમય સુંદરકાંડનું રસપાન કરાવ્યું હતું.